- ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
- RT-PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે
- પોલીસ-આરોગ્યની ટીમ બોર્ડર પર 24 કલાક તહેનાત
વલસાડઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા હાલ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના નંદીગ્રામ ચેકપોસ્ટ ખાતે આરોગ્યની અને પોલીસની ટીમ તહેનાત કરવામાં આવી છે. જે કાર-રિક્ષાચાલકનો અને પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
![RT-PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11412823_border_b_gj10020.jpg)
આરોગ્યની 4 ટીમ અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા
હાઈવે નંબર 48 પર નંદીગ્રામ ચેકપોસ્ટ ખાતે અત્યારે આરોગ્યની 4 ટીમ અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ અંગે મેડિકલ ઓફિસર ડૉ. નૈનેશ પટેલે જણાવ્યું હતું કે, અહીં તમામના RT-PCR રિપોર્ટ ચેક કરવામાં આવે છે. રજિસ્ટર્ડમાં નામ નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે જે વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ નથી તેવા વાહનચાલકોને પોલીસની મદદથી પરત મોકલવામાં આવે છે.
![પોલીસ-આરોગ્યની ટીમ બોર્ડર પર 24 કલાક તહેનાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11412823_border_a_gj10020.jpg)
આ પણ વાંચોઃ ગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ
100માંથી લગભગ 30 વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ હોતો નથી
ઉલ્લેખનીય છે કે, આરોગ્યની ટીમે આપેલી વિગતો મુજબ 100 વાહનચાલકોમાંથી લગભગ 30 જેટલા વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ હોતો નથી. તેઓ કેટલાક જરૂરી કામ માટે નીકળ્યા હોય આરોગ્ય અને પોલીસ ટીમ સાથે ગેરવર્તણૂક અને ઉગ્ર સ્વભાવે કે આજીજી સ્વરૂપે રજૂઆત કરે છે, પરંતુ તેવા લોકોને શાંતિથી સમજાવી RT-PCR રિપોર્ટ લઈને આવવાનું જણાવવામાં આવે છે. જોકે, આ નિયમ માત્ર રિક્ષા, કારચાલકો માટે હોય ટ્રકચાલકોને કોઈ પણ પૂછપરછ વગર જવા દેવામાં આવે છે, જેને લઈને સરકારની આ બેવડી નીતિ સામે કેટલાંક વાહનચાલકો પોતાની નારાજગી દર્શાવી બોર્ડર પર અવર-જવર કરતા જોવા મળ્યા હતાં.