અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભાજપના શાસકો સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને AMCમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં થયેલા કૌભાંડ મામલે હલ્લાબોલ કરવામાં આવ્યો. ભરતી કૌભાંડની રજૂઆત થતા સામાન્ય સભાને મુલતવી કરવામાં આવી. સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરે બેનરો દર્શાવીને ભરતી કૌભાંડ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે મળેલી સામાન્ય સભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
અગાઉ થયેલી ભરતીમાં તપાસની માંગ
આ મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AMCમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ત્રણ જેટલા ઉમેદવારોના માર્ક્સ વધારી અને ખોટી રીતે નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. અત્યાર સુધી કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી 37 જેટલી ભરતીઓમાં પણ આવા જ કૌભાંડ થયા છે. કોર્પોરેશનમાં તેમના ભાણીયા-ભત્રીજાઓને અધિકારીઓ નોકરી અપાવે છે. અને ભાજપ સત્તાધીશોની ખોટી નીતિને કારણે ડ્રાઇવર, જુનિયર ક્લાર્ક, બાઉન્સરો સહિત વિવિધ કેટેગરીમાં આઉટસોર્સિંગથી કામગીરી કરાવીને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાનો લાભ કરાવવામાં આવે છે. જેમાં 6300 થી વધુ જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવ્યા છે. 100 કરોડથી વધુની રકમ તેઓને ચૂકવવામાં આવે છે.
આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ મિર્ઝાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓ લેવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જે ભરતીનું કૌભાંડ થયું છે. જેમાં કાકા-ભાણીયા જેવા લોકોને નોકરી આપવામાં આવી છે. તેવા ઉમેદવારો નોકરી આપવામાં આવતી નથી જેઓ જરૂરિયાતમંદ છે. લોકો ઉમ્મીદ લઈને બેઠા હોય છે કે, અમે પરીક્ષા આપીશું અને અમને નોકરી મળશે. એટલે અમારી માંગણી છે કે સાચા લોકોને નોકરી મળે આ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા બોર્ડમાં હાલ્લા બોલ પણ કરવામાં આવ્યું હતું. ભરતી કૌબાડ બંધ કરો અને લોકોને ન્યાય આપો એવા સુત્રો દ્વારા અમે વિરોધ કર્યો છે.
આ પણ વાંચો:
AMTSનું વર્ષ 2025-26 માટે રૂ.705 કરોડનું બજેટ મંજૂર, નવી 445 AC બસો અને 4 ડબલ ડેકર બસ ખરીદાશે