વડોદરા: નાગરવાડા વિસ્તારમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં થઇ રહેલા વધારાને અટકાવવા માટે તંત્ર રણનીતી બનાવી છે. વડોદરાના નાગરવાડા, નવાબવાડા,મચ્છીપીઠ,સૈયદપુરા તથા તાંદલજા વિસ્તારોને રેડઝોનમાં મૂકવામાં આવ્યા બાદ હવે શહેરના અન્ય કેટલાક વિસ્તારોને પણ ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે.આ જંગ ખૂબ લાંબી લડવાની છે. તેવો સંકેત પણ તંત્રે આપી દીધો હતો.
કોરોના સામેની લડાઇ માટે સરકાર તરફથી વડોદરામાં મૂકવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવ તથા મ્યુનિ.કમિશ્નર નલિન ઉપાધ્યાય એ જણાવ્યુ હતુ કે,આગામી દિવસોમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેરને વિવિધ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.નાગરવાડા અને તાંદલજાના અમુક વિસ્તારને અગાઉ રેડ ઝોનમાં મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે પણ નાગરવાડા,સૈયદપુરા વિસ્તારમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે.તે ખરેખર ચિંતાજનક છે.આ સંજોગોમાં બહાર કોલોની ખાતેથી પણ એક કેસ આવ્યો છે.વાઘોડિયા રોડનો એક ડોક્ટર પણ સંક્રમણમાં આવ્યો છે.
આ હકિકતોને ધ્યાનમાં લઇને અન્ય કેટલાક વિસ્તારને ઓરેન્જ ઝોન,યેલો ઝોન અને ગ્રીન ઝોનમાં સમાવી લેવામાં આવશે.ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ ને વધુ તકેદારી રાખવામાં આવશે.આ વિસ્તારમાં હાલમાં વડોદરાના બાવનચાલ, મોગલવાડા,યાકુતપુરા,બહાર કોલોની, દુધવાળો મહોલ્લો,નવાપુરા(અમુક વિસ્તાર)મેમણ કોલોની,તાંદળજા ગામ, કાળી તલાવડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યાર બાદ જેમાં વધુ તકેદારી રાખવાની છે.તેવા વિસ્તારને યલો ઝોનમાં મુકવામાં આવ્યા છે.જેમાં ફતેપુરા,કિશનવાડી,એકતાનગર, રામદેવનગર,સોમા તળાવ,આદર્શનગર (તરસાલી),અનુપમનગર (ઝવેરનગર),ધાધરેટિયા,કુંભારવાડા (લાલબાગ),નવાયાર્ડ (ડી -કેબીન) નો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે જે વિસ્તારમાં તકેદારી રાખવાની છે તેને ગ્રીન ઝોન વિસ્તારમાં હાલના તબક્કે રાખવામાં આવ્યા છે.આમાં સમયાતરે ફેરફાર થતા રહેશે.આ વિસ્તારમાં સેમ્પલીંગ પણ નિયમીત કરવામાં આવશે.વડોદરામાં સયાજી હોસ્પિટલની જે કેપેસીટી છે મુજબ રોજ 40 થી 50 ટકા સેમ્પલ રેડ ઝોન, 20 ટકા ઓરેન્જ અને યેલો ઝોનમાં સેમ્પલ બાકી સેમ્પલ ગ્રીન ઝોનને પ્રાથમિકતા આપવામાં આવશે.