- કરજણના વલણ ગામે સાસરીમાં યુવતીનું શંકાસ્પદ મોત
- મૃતક પરિણીતાનો મૃતદેહને બહાર કઢાયો
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામે લગ્નનાં માત્ર છ માસમાં જ યુવાન પરણિતાનું શંકાસ્પદ મોત થયા હોવાના આક્ષેપ સાથે પિતા દ્વારા કલેક્ટર અને પોલીસમાં લેખિતમાં રૂબરૂ ફરિયાદ કરાતા વલણ કબ્રસ્તાનમાં દફનાવેલી યુવતીનો મૃતદેહ બે સપ્તાહ બાદ મામલતદાર અને પોલીસ તપાસ અધિકારી સાથે બહાર કાઢવામાં આવી હતી, પરંતુ બોડી ડિકંમ્પોઝ હાલતમાં હોવાથી વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આદેશને પગલે કાર્યવાહી હાથ ધરાઈ
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના વલણના મોહસીન સાથે 21 જૂન, 2020માં લગ્ન થયા હતા. 5 જાન્યુઆરી, 2021ના રોજ રાત્રે 10 કલાકના અરસામાં સાહિનાના દીયર ઇકો ગાડી લઈને ડ્રાઇવર સાથે આવ્યા હતા. જેમાં તેમને વેવાઈ ઈબ્રાહીમભાઈ બીમાર છે અને તમને ખૂબ યાદ કરે છે, તેમ કહી મુસાભાઈ અને તેમની પત્નીને લઈ ગયા હતા. ગાડી વલણ જવાના બદલે પાલેજ હોટલ પર પહોંચી હતી. જ્યાં વેવાઈ દેખાઈ આવતા પિતા મુસાભાઈના હોશ ઉડી ગયા હતા. વેવાઈ ઈબ્રાહીમભાઈએ જણાવ્યું કે, તમારી દીકરી બીમાર છે અને દવાખાને છે. એવી રીતે માતા-પિતાનું રાત્રિ રોકાણ પાલેજ કરાવવામાં આવ્યું હતું.
યુવતીના પિતાને શંકા જતા ફરિયાદ નોંધાવી હતી
વહેલી સવારે 5 કલાકના અરસામાં માતા-પિતાને કહેવામાં આવ્યું કે, તમારી દીકરીનું મૃત્યુ થયું છે. દવાખાનેથી વલણ લાવવામાં આવી રહી છે. વલણ ગામે જનાજો તૈયાર હતો. પિતા મુસાભાઈના જણાવ્યા મુજબ દીકરી સાહિનાનું મોઢું જોતા નાકમાંથી લોહી નીકળતું જોઈ વેવાઈને પૂછતા ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. આ અંગે યોગ્ય જવાબ નહીં આપતા દીકરીના મોત બાબતે સાહિનાના પિતાને શંકા થઇ હતી.
19 જાન્યુઆરી 2021ના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને દીકરીની શંકાસ્પદ મોત અંગે ફરિયાદ કરી
12 જાન્યુઆરી, 2021ના રોજ વલણ ગામે મુસાભાઈની દીકરી સાહિનાના કબર પર ફૂલ ચઢાવવા ગયા હતા. ત્યારે ગામના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુસાભાઈને જણાવાયું કે, તમારી દીકરી સાથે અજુગતુ થયું છે. એવું સાંભળતા જ મુસાભાઈની પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. પિતાની શંકા હતી કે, દીકરીનું મોત રહસ્યમય છે એ હવે નક્કી થઈ ગયું હતું. પિતા મુસાભાઈએ 15 જાન્યુઆરી 2021ના કરજણ પોલીસ મથકે, 19 જાન્યુઆરી, 2021ના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને દીકરીની શંકાસ્પદ મોત અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જે કારણે મૃતક સાહિનાની બોડી પોસ્ટમોર્ટમ માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે લઈ જવામાં હતી. સાહિનાનું મોત કઈ રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સાહીનાના મોતનો સમગ્ર કિસ્સો હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.