હાલમાં 7 વર્ષની માયશા નઈમ મન્સૂરીને બાળ દિવસની ભેટના રૂપમાં એક અજીબ કશ્મકશમાંથી મુક્તિ મળી છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે માયશાને ભારતની નાગરિકતા અને ભારતના ગૃહ મંત્રાલયે આપેલું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું, જેની સાથે તેની નાગરિકતા વંચિત-સ્ટેટલેશ હોવાની મુશ્કેલ પરિસ્થિતિનો અંત આવ્યો હતો.
વડોદરા જિલ્લા કલેકટર કચેરીમાંથી મળેલી માહિતી અનુસાર આ દીકરીને ભારતીય નાગરિકતા અપાવવા માટે તેના માતાપિતાએ વર્ષ 2016માં અરજી કરી હતી. તેના માતાપિતા ભારતીય નાગરિક છે અને રોજગારી અર્થે તેમના ઇંગ્લેન્ડમાં ટુંકા ગળાના વસવાટ દરમિયાન તેનો જન્મ થયો હતો. પરિણામે તેને કયાંની નાગરિકતા મળે જેનાથી તે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ હતી.
આખરે એના માતાપિતાએ ભારતીય નાગરિકતા અપાવવા માટે કાયદા અનુસાર અરજી કરી હતી. કલેકટર કચેરીએ પણ આ કિસ્સામાં ખૂબ જહેમત ઉઠાવી ઝીણવટભરી પ્રક્રિયાઓ પૂરી કરી હતી. લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં. આ તમામ જહેમત અને પરિશ્રમને અંતે સફળતા મળી અને બાળ દિવસના શુભ પ્રસંગે માયશાને ભારતીય નાગરિકતા અને ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાંથી મુક્તિ મળી.
આમ, વડોદરા જિલ્લા કલેકટર કચેરીમાં એક અનોખી રીતે બાળ દિવસની ઉજવણીનો આનંદ જોવા મળ્યો. ઈંગ્લેન્ડના બ્રેન્ટમા જન્મેલી માયશા આખરે જન્મથી 7 વર્ષની પ્રતીક્ષાના અંતે ભારતીય નાગરિક બની હતી.