- વડોદરામાં રાત્રી કરફ્યુનો અમલ કરાવવા પોલીસ તંત્ર સજ્જ
- જાહેર માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવાયો
- પસાર થતા વાહનચાલકોની સઘન પૂછપરછ કરાઈ
વડોદરાઃ શહેરમાં શનિવારે રાતથી અમલ થઈ રહેલા કરફ્યૂનો કડક અમલ કરાવવા અંગે વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સમગ્ર વડોદરાના માંડવીથી આજવારોડ, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ સહિતના વિસ્તારોના જાહેર માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
માર્ગો પર બેરીકેટ લગાવી દેવાયા
દિવાળી બાદ કોરોનાએ પુનઃ માથું ઉંચકતા સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે અચોક્કસ મુદત માટે રાત્રીના 9 થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ અમલમાં મુકાયો છે, ત્યારે કાયદાનું પાલન કરાવા વડોદરા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.


પ્રવેશ દ્વારો પર ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા
વડોદરાના માંડવી ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કરફ્યૂ શરૂ થાય તે પૂર્વે જ વેપારીઓ ટપોટપ દુકાનો બંધ કરી ઘરે પરત ફર્યા હતા, તો પોલીસ દ્વારા પણ પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી સરકારની ગાઈડલાઈન સહિત કરફ્યુનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. બરાબર 9 ના ટકોરે વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર માર્ગો, મુખ્ય રસ્તાઓ પર બેરીકેટ લગાડી દેવામાં આવ્યા હતા અને કારફ્યૂનું ચુસ્ત પાલન કરાવામાં આવી રહ્યું છે.



વડોદરાના પ્રવેશ દ્વારો પર ડીસીપી, પીઆઈ, પીએસઆઇ કક્ષાના અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા. આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતાં વાહનોને જ શહેરમાં આવવા અને જવા દેવામાં આવશે. આ ઉપરાંત જે લોકો બિન જરૂરી બહાર નીકળેલા જણાશે તેઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્વારા કરફ્યૂ દરમિયાન પસાર થતા વાહન ચાલકોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે બહાર નીકળવા પાછળનું ચોક્કસ કારણ જાણ્યા બાદ જ વાહનચાલકોને જવા દેવામાં આવી રહ્યા છે. આજના આ કારફ્યૂને પગલે વડોદરાના રસ્તાઓ સુમસાન નજરે પડ્યા છે જેને લઈ અગાઉ થયેલા લોકડાઉનની યાદ તાજા થઈ હતી.