બનાસકાંઠા: બે દિવસ અગાઉ ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના તટમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને જોતાં પ્રાથમિક તબક્કે તેની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું હતું. આ દરમિયાન મૃતક યુવકના પરિવારજનોએ હત્યા કરનારા હત્યારાઓની જ્યાં સુધી અટકાયત કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતકના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેને પગલે હરકતમાં આવેલી ડીસા તાલુકા પોલીસે તપાસ વધુ તેજ બનાવી હતી અને આ યુવકની હત્યાને પગલે શકમંદના આધારે સાગર બારેચા નામના શખ્સની પૂછપરછ માટે અટકાયત પણ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ મૃતકની અંતિમ વિધિ કરાવી હતી. ડીસા પોલીસે જે શખ્સની પૂછપરછના આધારે અટકાયત કરી હતી, તે સાગર બારેચા નામના શખ્સની આકરી પૂછપરછ કરતાં તેને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સાગર બારેચા ડીસાની ખાનગી હોસ્પિટલમાં મૃતક સુરેશ બારોટ સાથે જ નોકરી કરતો હતો અને બે દિવસ અગાઉ હોસ્પિટલમાંથી તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. સાગરની છૂટો કરવામાં આવતા સાગરને થયું હતું કે, સુરેશ બરોટે તેના વિરુદ્ધ હોસ્પિટલના તબીબને ફરિયાદો કરી હોવાના લીધે તેને છૂટો કરવામાં આવ્યો છે. જેથી આ બાબતની અદાવત રાખીને સાગર બારેચાએ સુરેશને રાત્રીના સમયે ફોન કરીને હોસ્પિટલમાંથી બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને નદીમાં લઈ જઇ છેતરીને તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત શરીરના વિવિધ ભાગે ચપ્પુંના 6 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની સાગરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.