સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોને પકડવા માટે જયપુરની બે ટીમ હાઇડ્રોલિક વાહનો સાથે કામે લાગી છે. લાંબા સમયથી શહેરના વિવિધ રોડ પર રખડતાં પશુઓના કારણે રાહદારી અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રખડતા પશુઓને પકડવા શહેરીજનોની રાવ ઉઠતા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા જયપુરની ટીમને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
પાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા અને ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ ટીમ દ્વારા પ્રથમ દિવસે જ શહેરના વિવિધ રસ્તા પર પોલીસ બંદોબસ્ત સાથે 26 જેટલા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી હતી. તેમજ પ્રથમ દિવસે આખલા પકડાવામાં આવ્યા હતા અને ખાખરાધર મહાજનની વીડમાં મોકલી આવ્યા હતા, ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આ ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.