આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત 27માં સમૂહલગ્ન સમારોહમાં 297 નવયુગલોને આર્શીવચન આપવા પહોંચેલા મુખ્યપ્રધાન કહ્યું કે, આહિર સમાજની દિકરીઓના અભ્યાસ માટે અમદાવાદ ખાતે જમીન ફાળવવામાં આવી છે. તેવી જ રીતે દરેક સમાજની દિકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે રાજય સરકાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાહતદરે છાત્રાલયોના નિર્માણ માટે જમીનો ફાળવશે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંકલ્પ સમા 'ફિટ ઈન્ડિયા' અને 'સ્વચ્છતા અભિયાન'ને આહિર સમાજે સમૂહલગ્ન સાથે જોડીને ઉમદા કાર્ય કરવા બદલ સમાજના મોભીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમૂહલગ્નના માધ્યમથી બે કુટુંબો, પરિવારો એકબીજાની નજીક આવીને સમાજને એક તાતણે બાંધવાનું ભગીરથ કાર્ય થાય છે. આજના સમયમાં સામાન્ય સમાજના લોકોને પોતાના દિકરા-દિકરીઓને પરણાવવાની ચિંતા રહેતી હોય છે. ત્યારે આવા સમાજના સમૂહલગ્નો થકી માતા-પિતાની ચિંતામુકત થતી હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આહિર સમાજ તેના શૌર્ય, વચન પાલન, વીરતા અને પરાક્રમ સમાજની ઓળખ છે. જે ઓળખને આજની યુવા પેઢી આગળ વધારે તેવી હિમાયત તેમણે કરી હતી. તેમજ સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓને કુંવરબાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન જેવી રાજય સરકારની યોજનાઓ થકી સહાય કરવામાં આવે છે.