ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં ડુંગળીનો પાક પણ નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક ઓછો નીકળતા સુરત APMS માર્કેટમાં પ્રતિદિવસ આવતી 30 થી 35 જેટલી ડુંગળીના ટ્રકોમાં પણ ઘટાડો નોંધાયો છે.
પ્રતિદિવસ 10 થી 12 જેટલા ડુંગળીના ટ્રકો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહ્યાં છે. જેની સામે આવક ઓછી છે. તેમાં પણ જુની ડુંગળી અને નવી ડુંગળીની આવક ઓછી રહેતા ભાવો ભડકે બળ્યા છે. સુરતના બજારમાં હાલ જુની ડુંગળી પ્રતિકીલો 100 થી 129 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની છે. તેની સામે નવી ડુંગળી 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહી છે. જે ડુંગળી ભાગ્યે જ ગ્રાહકો ખરીદી કરતા હોય છે. વરસાદની સિઝન હાલ પુરી થઈ ચુકી છે. અને વાતાવરણમાં પણ સુધારો આવ્યો છે. જેથી ખેડૂતોએ ડુંગળીનો પાક લેવાનું શરૂ કર્યું છે. આગામી ડિસેમ્બરના પંદર દિવસ બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડુંગળીના પાકની મોટી આવક સુરત APMC માર્કેટ આવે તેવો આશાવાદ વેપારી આલમ સેવી બેઠા છે. જેથી પહેલાની જેમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરી સસ્તા ભાવે મળી શકશે, પરંતુ હાલ પંદર દિવસ સુધી ડુંગળીના ભાવોમાં કોઈ ઘટાડો થાય તેવા કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.