સુરત : શહેરમાં કોરોના વાઇરસના વધતા વ્યાપને ઘટાડવા શહેરના ચાર પોલીસ મથક સહિત એક પોલોસ ચોકી વિસ્તારમાં 22મી એપ્રિલ સુધી કરફ્યુ મુકવામાં આવ્યું છે.હમણાં સુધી આ વિસ્તારોમાં બપોરના 1 થી સાંજના 4 વાગ્યા દરમિયાન માત્ર મહિલાઓને શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી.
શહેરના કરફ્યુગ્રસ્ત વિસ્તારો જેવા કે અઠવા પોલીસ મથકની હદ,લાલગેટ,સલાબતપુરા ,મહિધરપુરા અને લીંબાયતની કમરુનગર પોલીસ ચોકી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્યપણે પાલન નહીં થતા તારીખ 19 અને 21 મી એપ્રિલના રોજ દુધ અને દવા સિવાયના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે,તેમણે જણાવ્યું છે કે ,આ વિસ્તારોમાં માત્ર 20 તારીખના રોજ મહિલાઓ શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ ખરીદી કરી શકશે.જ્યારે બે દિવસ દુધ અને દવાના વેચાણ માત્રને પરવાનગી આપવામાં આવી છે.22 મી તારીખના રોજ લોકડાઉન પૂરું થઈ રહ્યું છે ,જે બાદ રાજય સરકારના આદેશ બાદ રાબેતા મુજબ ચાલી રહેલા લોક ડાઉનમાં કેટલીક છૂટછાટ જણાવ્યા પ્રમાણે આપવામાં આવશે.
પોલીસ કમિશ્નર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સુરતમાં કરફ્યુ ભંગના કુલ 50 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે .આ સાથે કરફુગ્રસ્ત વિસ્તારોમાં અમલીકરણ કરવા માટે પેરામિલેટ્રી ફોર્સ અને રેપીડ એકશન ફોર્સની ટીમ પણ પ્રયત્નશીલ છે.સુરતના પીપલોદ વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે મળી આવેલા ચલણી નોટ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.આસપાસના CCTV ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.ચલણી નોટ કોણ અને ક્યાં કારણોસર અહીં નાખી ગયો છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.