સુરતમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને સંતાન ન થતા ભુવા પાસે ડામ આપવામાં આવ્યો હતો અને અંતે પત્ની આત્મહત્યા કરવા મજબુર કરી હતી. ઉપરાંત પતિ દ્વારા પરિણીતાના અન્ય યુવકો સાથે આડા સબંધ હોવાનું જણાવી અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં પરિણીતાને સાપરિયાની બીમારી હોવાથી સંતાન ન થતું હોવાના મહેણાં -ટોણા મારી પતિ દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.જેથી પરિણીતાએ નાસીપાસ થઇ જઇ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક પરિણીતાની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સંતાન ન થતું હોવાથી દિપક કોમલને લઈ કોઈ ભુવા પાસે ગયો હતો. જ્યાં કોમલના શરીર પર અવારનવાર ડામ અપાવી માનસિક રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આખરે પતિની હેવાનીયત સામે પરિણીતા કોમલ પડી ભાંગી હતી અને નાસીપાસ થઈ જઇ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ મૃતક પરિણીતાની માતાએ જમાઈ દીપક સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નિઃસંતાન ભોગવતી પરિણીતાને અંધશ્રદ્ધાના નામે શરીર પર ડામ આપવામાં આવ્યા. જેના કારણે નાસીપાસ થયેલી પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. ત્યારે સુરતમાં અંધશ્રદ્ધા નો વધુ એક વખત કરૂણ અંજામ આવ્યો છે અને એક નિર્દોષ પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવવાની ફરજ પડી છે. જો કે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખનાર પતિની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.