સુરતઃ કોરોના દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી માંડવી અને બારડોલી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ સમર્પિત હોસ્પિટલ સેન્ટરની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માંડવી ખાતેની સરકારી હોસ્પિટલમાં 30 બેડ તથા બારડોલી સરકારી હોસ્પિટલમાં 25 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. દરેક બેડ 24 કલાક ઓક્સિજનની સુવિધથી સજ્જ છે.
કોવિડ સમર્પિત હોસ્પિટલ બનાવવા માટે પી.એમ. કેર ફંડમાંથી ખાસ વેન્ટીલેટર સાથેના બેડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયત અને કેએપીપીના સહયોગથી હોસ્પિટલ શરુ કરવા સેવા પૂરી પાડવામાં આવી છે.
કાકરાપાર અણુમથકના સહયોગથી 4 બાયપેપ મશીન અને 15 હાઈ-સ્લો મશીન સાથે સેન્ટ્રલ ઓક્સિજનની સગવડ પૂરી પાડવામાં આવી છે. બ્લડની સુવિધા તથા બ્લડની ચકાસણી માટે ખાનગી લેબ સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આ માટે માંડવીના સેવાભાવી ફિજિશ્યન તબીબોનો 24 કલાક સહકાર અને સેવા આપી રહ્યા છે. નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓના સગા-સંબંધી માટે હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે સુરત ડી.ડી.ઓ. એચ.કે.કોયા, બારડોલી પ્રાંત બી.એન.રબારી, માંડવી પ્રાંત અધિકારી ડૉ.ઠાકોર, મામલતદાર ભરતભાઈ ગામીત, માંડવીના તબીબ ડૉ.આશિષભાઈ ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ પાનવાલા, તાલુકા પંચાયત પ્રમુખ શંકરભાઈ ચૌધરી, નટુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.