સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદો સંપડાયેલી જોવા મળે છે. કારણ કે, હૉસ્પિટલના સ્ટાફ અને તબીબો દ્વારા દર્દીઓ જોડે અમાનવીય વ્યવહારના આરોપો થતાં રહે છે. જેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે.
મળતી માહિતી અનુસાર, આજ રોજ વહેલી સવારે 108 સેવા એમ્બ્યુલન્સના કર્મચારીઓ એક વ્યક્તિને બેભાન હાલતમાં હૉસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડો. ગૌરવે તેને તપાસી મેડિસિન વિભાગમાં રીફર કર્યો હતો. ફરજ પર હાજર ડો.ગૌરવે દર્દીને તપાસ્યો ત્યારે તે બેભાન હાલતમાં હતો. ડૉ.ગૌરવ હાથ ધોવા વોશરૂમમાં ગયા બાદ દર્દી અચાનક ગાયબ થઈ ગયો હતો. જો કે બાદમાં આ દર્દી હોસ્પિટલમાં પોસ્ટ-રૂમ બહાર રઝળતી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા કર્મચારી અને પોસ્ટ મોર્ટમ રૂમ બહાર ઉભેલા યુવકે જણાવ્યું હતું કે, " હોસ્પિટલનો સરવન્ટ વ્હીલચેર પર આ દર્દીને અહીં લઈ આવ્યો હતો. તેને અહીં મૂકી બાદમાં ચાલ્યો ગયો. બાદમાં યુવકને ખેંચ આવતા તેને પ્રાથમિક સારવાર આપી હતી.
આ ઘટનાની જાણકારી મીડિયાને મળતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતું. પોસ્ટ-મોર્ટમ રૂમ બહાર તાત્કાલિક સર્વન્ટ સ્ટ્રેચર લઇ આવ્યો અને દર્દીને લઇ સારવાર અર્થે હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં રીફર કર્યો હતો. આ સમયે મેડિસિન વિભાગના કેટલાક તબીબો પણ ત્યાં આવી પોહચ્યા હતાં. અવારનવાર સિવિલ હૉસ્પિટલની બેદરકારીના કરાણે દર્દીઓને થતી મુશ્કેલીઓના આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ પગલાં લેવાની માગ લોકો કરી રહ્યાં છે.