સુરત : નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઇન્સ કંપનીઓ સાથે બેઠક કરી હતી. સુરત તેમજ અયોધ્યા એરપોર્ટ સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચામાં સુરત એરપોર્ટથી દુબઇ, સિંગાપોર, બેંગકોક, હોંગકોંગ, લંડન અને ન્યુયોર્કની ફ્લાઈટનું પ્લાનિંગ કરવા સૂચના પણ આપવામાં આવી હતી. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી દુબઈની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે.

કસ્ટમ ડિપાર્ટમેન્ટને તૈયારી કરવા સૂચના અપાઇ : એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત-દુબઈની ફ્લાઇટને 17 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ફ્લાઇટને લીલી ઝંડી પણ આપશે. જોકે એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયા એક્સપ્રેસએ 17 મી થી ફ્લાઈટ છે. આ અંગે સુરત એરપોર્ટ કાર્યાલયમાં બેઠક યોજી હતી. આ અંગે ઓથોરિટીએ સત્તાવાર સમર્થન આપ્યું છે. એરલાઇન્સે 17 ડિસેમ્બરથી સવારે 7 વાગ્યે સુરત એરપોર્ટથી આ ફ્લાઇટ શરૂ કરવા માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટને તૈયારી કરવા સૂચના જરૂર આપી છે. અત્યાર સુધી દુબઈમાં ફ્લાઈટ લેન્ડિંગ માટે સ્લોટ મળતો ન હતો, પણ વડાપ્રધાનની કાર્યાલયની સીધી દખલને પગલે આ શક્ય બનવા જઈ રહ્યું છે.

એવિએશન મિનિસ્ટ્રીમાં રજૂઆત : ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં ચાર દિવસ સુરત-દુબઇની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે પરંતુ શરૂઆતમાં તેને દિલ્હી સાથે કનેક્ટેડ રાખવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે પેસેન્જર લોડ જરૂરી છે, એની સાથે શારજાહની ફ્લાઇટ પણ શરૂ રાખવામાં આવશે. ત્યારબાદ પેસેન્જર લોડને લઇને ફ્લાઇટના શિડયુલ અંગે નિર્ણય કરવામાં આવશે. સુરતથી દુબઈ ફ્લાઇટ શરૂ થાય તે માટે We Work for Working Airports Group અને ASDB દ્વારા અનેક વખત એવિએશન મિનિસ્ટ્રીમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતો ફળી તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત પણ અન્ય ફ્લાઇટની જાહેરાત પીએમ દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતા છે.