24 મેનું એ કાળ ચોઘડિયું સમય હતો સાંજના 4:03 મિનિટ. ફાયર વિભાગને ફોન આવ્યો કે સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેટમાં ભીષણ આગ લાગી છે, પરંતુ ફાયર વિભાગની ગાડીઓ અને અધિકારીઓ પહોંચે ત્યાં સુધી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને દેશ સામે એવી તસવીરો આવી કે દેશને હચમચાવી દીધો. તક્ષશિલા આર્કેડના ત્રીજા માળેથી પોતાનો જીવ બચાવવા માટે એક-એક કરી 13 વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કૂદી રહ્યા હતા. કોમ્પ્લેક્ષ નીચે ઉભેલા લોકો બાળકોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તો કેટલા મોબાઈલમાં દ્રશ્યો કેદ કરવામાં લાગ્યા હતા.
વિદ્યાર્થીઓને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા, પરંતુ 22 લોકોની મોત થઈ ગયા મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં ન હતા પરંતુ ઘડિયાળ, મોબાઈલ જેવી વસ્તુઓથી પરિવારે પોતાના ચિરાગોને ઓળખી કાઢ્યા હતા. સતત 17 કલાક સુધી 14 ડોક્ટરો દ્વારા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ત્યારે બીજી બાજુ આગની જ્વાળાઓ અને તેના કારણે ભયાનક ગૂંગળામણ પણ જોવા મળી હતી. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો પરંતુ ફાયરની ટૂંકી સીડી વિદ્યાર્થીઓને બચાવી શકી નહી. ઘટનામાં ફાયર વિભાગની તમામ ગાડીઓ આવી પરંતુ રેસ્ક્યુના સાધનોના અભાવ સાથે.
કોમ્પ્લેક્ષના ચોથા માળે બનાવવામાં આવેલા ડોમમાં આર્ટ ક્લાસ ચાલી રહ્યો હતો. જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓ હતા અને તેની નીચે માઈન્ડ ડેવલોપમેન્ટ ક્લાસીસ, જિમ અને ઇન્ટિરિયર ફેશન ઇન્સ્ટિટ્યુટ પણ હતી જ્યાં મોટા ભાગે ટાયર અને ગાદલા હતા. જાહેરાતના બોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ વધુ વિકરાળ બની અને જોતજોતામાં લોકો જીવતા સળગી ગયા હતા.
ઘટનામાં પોલીસે 3 સામે ફરિયાદ દાખલ કરી હતી. ભાર્ગવ નામના આર્ટ ક્લાસ સંચાલકની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે કોર્ટમાંથી ભાર્ગવના 2 દિવસના રિમાન્ડ પણ લીધા છે. જ્યારે આ સમગ્ર મામલામાં પોલીસે 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર થઈ ગયેલા 2 બિલ્ડરની ધરપકડ કરી લીધી છે. બિલ્ડર હરસૂલ વેકરિયા કોમ્પ્લેક્ષમાં પાર્ટનર હતા જ્યારે બીજો આરોપી જીગ્નેશ કોમ્પ્લેક્ષનો વહીવટ કરતો હતો.
આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરત ખાતે આવી ગયા અને મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્ત થયેલા 26 લોકો અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. સાથે જ મૃતકોને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ઇજાગ્રસ્તોના પરિવારોની મુલાકાત લીધી અને સાંત્વના આપી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલ સહિત પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી.
તક્ષશિલા આર્કેડના બિલ્ડરોએ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરની મંજૂરી લઈને 4 માળ બનાવી દીધા હતા. આમ છતાં પાલિકાએ તેને તોડવાની કોશિશ સુધ્ધા કરી નહી. 2011માં ગુજરાત સરકાર ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનો નિયમ લાવી હતી. જે અંતર્ગત ઈમ્પેક્ટ ફી લઈને આવી બિલ્ડિંગોને કાયદેસર કરાઈ હતી. તક્ષશિલા આર્કેડના બિલ્ડરે પણ 2012માં પોતે બનાવેલા બિલ્ડિંગને કાયદેસર કરવા પાલિકામાં અરજી કરીને 83 હજાર ભરીને આખું બિલ્ડિંગ કાયદેસર કરી લીધુ હતુ. જોકે અરજી કર્યા પછી બિલ્ડરે ચાલાકી કરી અને ત્રીજા માળની ઉપર બીજો એક માળ ઉપર ડોમ બનાવી આખી અગાસી કવર કરી લીધી હતી. બીજે માળે જવાની સીડી પણ લાકડાની હતી ગેરકાયદે માળ પર લાકડાના પાર્ટિશન મૂકીને એક મોટો હૉલ અને જુદા- જુદા રૂમ બનાવી દીધા હતા. 2015માં નિગમે આ બિલ્ડિંગને નિયમિત કરવાનું સર્ટિફિકેટ પણ આપી દીધું. બાદ બિલ્ડરે ગેરકાયદેસર કોચીંગ ક્લાસીસ સંચાલકો અને બીજાને ભાડે આપી દીધો. એટલુજ નહીં એન્ટ્રી અને એક્સીટનો દાદર પણ એકજ હતો, જેના કારણે પોતાનો જીવ બચાવવા માટે તેઓ નીકળી ન શક્યા હતા કારણે કે આગ ત્યાં જ લાગી હતી.
આ સમગ્ર ઘટનામાં 2 ફાયર અધિકારી અને 1 સિવિલ એન્જીનિયરને સસ્પેન્ડ કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. FSL અને ગાંધીનગર ફાયર વિભાગની ટીમો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.