સાબરકાંઠા : સમગ્ર સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ નાખવાનો મામલો ગરમાયો છે. ત્યારે આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા તમામ સ્થળ તપાસ કર્યા બાદ સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાય તેવું નિવેદન અપાયું છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં નખાયેલું આ કેમિકલ જોખમી હોવાની સાથોસાથ અન્ય જિલ્લા કે અન્ય રાજ્યમાંથી કેમિકલ નાખવા આવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ કરાયો છે.
કેમિકલ ઠલવાયા હોવાનું બહાર આવ્યું : સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ થકી હજારો હેકટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. સાથોસાથ જમીનમાં સ્તર ઉપર લાવવા માટે ભૂમિકા આ જ કેનાલ થકી ભજવાઇ રહી છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ કેનાલ થકી હજારો હેક્ટર જમીન તેમજ કેટલાય ગામડાઓ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ત્યારે સાબરકાંઠાના તલોદના પંડુસણ ગામે અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના અંધકારમાં માનવ જીવન સહિત પશુ સૃષ્ટિ માટે અત્યંત જોખમકારક કેમિકલ ઠલવાયા હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
આ પણ વાંચો Sujlam Suflam Yojna: કેનાલ પાણીની કે કેમિકલની? પ્રદુષિત પાણીથી પ્રજા પરેશાન
કેમિકલ અત્યંત જોખમી : જોકે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગને જાણ કરાતા તેમની ટીમ પણ ઘટના સ્થળેે પહોંચી નમૂના લઇ અમદાવાદ મોકલી આપ્યા છે. સાથોસાથ પ્રાથમિક તપાસમાં બહાર આવેલી બાબતોથી હડકંપ સર્જાયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગ બોર્ડના અધિકારીઓ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ કેનાલમાં નખાયેલું આ કેમિકલ માનવજીવન માટે અત્યંત જોખમી છે. સાથોસાથ આવું કેમિકલ સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓમાં ન બનતું હોવાનું જણાવ્યું છે. જોકે આવું કેમિકલ અન્ય જિલ્લાઓ કે રાજ્યમાંથી આવી શકતું હોવાનો ઘટસ્ફોટ પણ કરાયો છે.
ઠોસ કાર્યવાહીનો અભાવ : એક તરફ છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં જોખમકારક કેમિકલ નાખવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ મામલે હજુ સુધી ઠોસ કાર્યવાહીનો અભાવ રહ્યો છે. જોકે આ મામલે આગામી સમયમાં પાયારુપ ભૂમિકા નહીં ભજવાય તો સાબરકાંઠા સહિત સુજલામ સુફલામ કેનાલમાં ઠલવાયેલો જોખમી કેમિકલ આગામી સમયમાં પણ યથાવત રહી શકે છે. ત્યારે હજારો હેકટર જમીન સહિત પશુ પંખીઓ અને માનવજાત માટે પણ અત્યંત ખતરો સર્જાઇ શકે તેમ છે.
આ પણ વાંચો Sabarkantha News : ન્યાય માટે 6 દાયકાની તરસ, નાની સોનગઢના રામાભાઇ ડાભીની 12 એકર જમીન ગઇ હતી ડૂબમાં
કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી : હજુ સુધી સ્થાનિક કક્ષાએથી પોલીસ વિભાગને કોઈપણ પ્રકારની ફરિયાદ ન કરાતા પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ કામગીરી કરાઈ નથી. ત્યારે વિવિધ વિભાગો વચ્ચે સાયુજ્યનો અભાવ હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આગામી સમયમાં આ મામલે પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરાય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા મુખ્ય આરોપી સુધી પહોંચી જે તે કંપનીની ક્લોઝર નોટિસ આપી કંપની બંધ કરાવવા સુધીની તૈયારીઓ હાથ ધરાઈ છે.જોકે આગામી સમયમાં જમીન, પાણી અને ઉત્તર ગુજરાતમાં પાયારૂપ કેનાલના આરોપી સુધી પહોંચવામાં કેટલી સફળતા મળે છે તે પણ મહત્વનું બની રહેશે.