સાબરકાંઠાઃ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા જિલ્લાની 205 ગ્રામ્ય પંચાયતમાં આ કામો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાં 27686 શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે.

આ આંકડા જાહેર થતાની સાથે જ જિલ્લો સમગ્ર રાજ્યમા મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં 7માં સ્થાને છે.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક ભંડોળ ઊભું કરવા તેમજ ગ્રામીણ રોજગારી પ્રદાન કરવાના હેતુથી શરૂ કરાયેલા મનરેગા યોજના હેઠળ મહત્તમ લોકોને રોજગારી મળે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
જેમા જુના ઉપરાંત 1672 જેટલા નવા જોબ કાર્ડ ઇસ્યુ કરાયા છે. તેમજ નવા દર મુજબ શ્રમિકોનુ ભથ્થુ રૂપિયા 224 નક્કી કરવામાં આવ્યું છે.
મનરેગા યોજના હેઠળ રોજગારીની સાથે સાથે ગ્રામીણ વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લામાં વડાપ્રધાન આવાસના 369 કામોમાં 740 શ્રમિકોને રોજગારી, 59 રોડ રસ્તાના માટી કામોમાં 6061 શ્રમિકો, સુજલામ સુફલામ જળ અભિયાનમાં તળાવો, ચેકડેમો, રિવર રીજ્યુવીનેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિસલ્ટીંગ વગેરે 116 કામોમાં 12729 શ્રમિકો તેમજ અન્ય કામો જેવા કે સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગતના 70 કામોમાં 8156 શ્રમિકોને રોજગારી મળી રહી છે. આમ જિલ્લામાં કુલ 614 કામોમાં 27686 શ્રમિકો હાલમાં રોજગારી મેળવી રહ્યા છે.
આ શ્રમિકોને રોજગારીની સાથે તેમના આરોગ્યની ચિંતા કરી કોરોના વાઇરસના સંક્ર્મણના પગલે સોશિયલ ડિસ્ટસીંગ જાળવવુ, માસ્ક પહેરવુ તેમજ બપોરની ગરમીમાં બેસવા માટે મંડપની વ્યવસ્થાની સાથે પીવાના પાણી વ્યવસ્થા પણ કામના સ્થળે કરવામાં આવી છે.
જોકે કોરોના રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સામાજિક અંતર સહિતની બાબતોમાં વધુ મજબૂત બની રહે તે જરૂરી છે.