હિંમતનગર:સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે આધારશીલા ગણાતી ધરોઇ જળાશય યોજનાની આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લઇ આગામી સમયની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી.
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે ધરોઇ ડેમની મુલાકાત કરી નવીન કામોનુ નિરિક્ષણ કર્યું હતું તેમજ યોજના દ્રારા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામોને પાણી પુરૂ પાડવાની યોજના અને ઇડર-વડાલી-ખેડબ્રહ્મા માટેની શહેરી જુથ પાણી-પુરવઠા યોજના હેઠળ નવિન ઇનટેક વૉલનુ નવિનિકરણના કામોનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ધરોઇ યોજના દ્રારા ગામડામાં પીવાનું પાણી પુરૂ પાડવા સાથે ખેતી માટે પણ પાણી પુરૂ પાડવામાં આવે છે. ધરોઇ યોજના સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે જીવાદોરી છે. હાલમાં આ યોજના થકી વડાલી તાલુકાના નજીકના ગામોમાં પાણી પુરૂ પાડવાની સાથે શહેરી વિસ્તાર ઇડર, વડાલી અને ખેડબ્રહ્માના શહેરી વિસ્તારોમાં પણ પાણી પુરૂ પાડવાના ઉદ્દેશ્યથી હાલમાં ધરોઇ ડેમ ખાતે નવીન ઇન્ટેક વોલનું કામ ચાલી રહ્યું છે. આ કામો થકી હાલમાં લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી પુરી પાડવાનું કામ પણ થઈ રહ્યું છે.
ધરોઇ ડેમની મુલાકાત બાદ જિલ્લા સમાહર્તા દ્રારા વડાલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ અંબાવાડા ખાતે સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરીનુ નિરિક્ષણ કરી શ્રમિકો માટે પીવાના પાણીની છાયડાની વ્યવસ્થા તેમજ કામના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જોકે ધરોઇ જળાશય યોજનામાં ગત વર્ષે થયેલા ભારે વરસાદના પગલે આ વર્ષે પણ પીવાના પાણીની તંગી નહીં સર્જાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે ત્યારે આ વર્ષે પણ ધરોઇ જળાશય યોજના ગત વર્ષની જેમ ઓવરફ્લો થાય તે જરૂરી છે