રાજકોટ: આજની આ આધુનિક દુનિયામાં હજુ પણ છેવાડાના વિસ્તારોમાં અંધશ્રદ્ધાઓની ઘટના વારંવાર સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ખાતે આવેલ મંદિરમાં એક 10 માસની બાળાને ધગધગતી સોયથી ડામ આપવાનો મામલો સામે આવ્યો હતો. બાળકીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે.
બાળકીનું સારવાર દરમિયાન મોત: બાળકીનો પરિવાર મૂળ વિરમગામ તાલુકાના અલીગઢ ગામનો હતો. બાળકીને તાવ શરદી સહિતની બીમારી થતા પરિવાર માતાજીના મંદિરે લઈ ગયો હતો, જ્યાં સુરેન્દ્રનગરના દસાળા તાલુકા વડનગર ગામે એક મહિલાએ ગરમ સળિયા વડે ડામ આપ્યા હતા. ત્યારબાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને રાજકોટ ખાતે કેડી ચિલ્ડ્રન હસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અહી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શરદી ઉધરસ સહિતની બીમારી: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં આવેલ વિરમગામના અલીગઢ ગામે રહેતા પરિવારમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ સહિતની બીમારી હતી. ત્યારે પરિવાર દ્વારા આ બાળકી બીમાર હોય પહેલાં તેને દવાખાને ડોક્ટર પાસે લઇ ગયાં હતાં. પરંતુ ડોક્ટરે ભારે ખર્ચો બતાવતાં તેઓએ સારવાર કરાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી પરત ઘેર આવ્યો હતો. બાદમાં કોઇની સલાહથી બાળકીનેે લઈને પરિવાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે આવેલ માતાજીના મંદિરે લઈ ગયો હતો.
સોય ગરમ કરીને પેટના ભાગે ડામ આપ્યા: દસાડા ખાતે આવેલ માતાજીના મંદિરના ભૂઈમા મહિલાએ આ 10 માસની બાળકીને સોય ગરમ કરીને પેટના ભાગે ડામ આપ્યા હતાં. જ્યારે આ બાળકીને ડામ આપવામાં આવતા તેની તબિયત વધારે બગડી હતી. જેના કારણે પરિવાર આ બાળકીને લઈને ગઇકાલે રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ત્યારે હાલ રાજકોટ ખાતે બાળકીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે.