રાજકોટઃ કોરોના વાઇરસના કારણે વિશ્વમાં લાખો લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ન ફેલાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ તરફ રાજકોટ મનપા કચેરીમાં જ સફાઈ કામદારની ભરતી માટે આવી પહોંચેલા ઉમેદવારો જ જાણે કોરોના વાઇરસને આમંત્રણ આપતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.
રાજકોટ મનપા દ્વારા હાલ કોર્પોરેશનમાં 452 જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે, જેને લઈને આજે પ્રથમ દિવસે જ 300થી વધુ નોકરી ઈચ્છુક ઉમેદવારો કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને નોકરી માટે લાંબી લાઈન લગાવી હતી.
મહાનગરપાલિકામાં જ 309થી વધુ ઉમેદવારો આવી ચડતા કોઈ પણ વ્યવસ્થાના અભાવે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે આ પ્રકારની ઘટનાથી રાજકોટ શહેરમાં ખૂબ જ સહેલાઈથી કોરોના વાઇરસ ફેલાવાની શકયતાઓ રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ખુદ મનપા જ રાજકોટમાં લોકો માસ્ક ન પહેર્યા હોય અથવા દુકાનો પર ભીડ એકઠી થાય ત્યારે દંડ ઉઘરાવા અને દુકાનો સિલ કરવાની કાર્યવાહી કરે છે ત્યારે મનપા ઓફીસ ખાતે જ સોશિયલ ડિસ્ટન્સનો પાલન ન થતા શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.