- જેતપુરમાં બનતી ધાબળીઓ કચ્છથી લઈને કાશ્મીર સુધી સપ્લાય થાય છે
- હાથશાળના કારીગરો ધાબડી ઉપરાંત ખાદીના વસ્ત્રો બનાવે છે
- કારીગરો દ્વારા પરંપરાગત હેન્ડલુમ કળાનું કરવામાં આવે છે જતન
રાજકોટ: જિલ્લામાં વિવિધ ઉદ્યોગો આવેલા છે. જેમાં શાપર-વેરાવળમાં મશીન પાર્ટ્સનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો-ફાલ્યો છે. ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાના જેતપુરની તો જેતપુરનો સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે. ત્યારે જેતપુર તાલુકાના એક નાના એવા ગામ રેશમડીગાલોળમાં (Reshmadigalol) આજે પણ હાથ બનાવટના વસ્ત્રો (Handloom) હાથસાળના કારીગરો દ્વારા પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. આ હાથસાળના કારીગરો દ્વારા બનાવવામાં આવતી ધાબળીની કચ્છ (Kutch) થી લઈને કાશ્મીર (Kashmir) સુધી ખુબ જ મોટા પ્રમાણમાં માંગ છે.
![હાથસાળના કારીગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-jetpur-handloom-gj10063_09062021191808_0906f_1623246488_837.jpg)
કારીગરો પેઢીદર પેઢી કરી રહ્યાં છે, હાથસાળનું કામકાજ
ETV Bharat ની ટીમ દ્વારા જેતપુર તાલુકાના રેશમડિગાલોળ ગામમાં હાથસાળના કારીગરોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ETV Bharat ની ટીમ સાથે વાતચીત કરતા કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા પેઢીદર પેઢી આ હાથસાળનું કામકાજ કરવામાં આવી રહ્યું છે અને જેતપુર તાલુકાના ગામડાઓમાં ફક્ત રેશમડીગાલોળ ગામમાં જ હાથસાળની ધાબળીઓ બનાવવામાં આવે છે. આ સાથે તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રેશમડીગાલોળ ગામના 6 થી 7 પરિવારો આ હાથસાળના કામ સાથે સંકળાયેલા છે. જેમાં મોટા ભાગના વણકર સમુદાયના છે.
![હાથસાળના કારીગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-jetpur-handloom-gj10063_09062021191808_0906f_1623246488_979.jpg)
આ પણ વાંચોઃ જેતપુરના સાડી ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોમાં લોકડાઉન અંગે ઘેરાયા શંકાના વાદળો
એક ધાબળી બનાવવાની મજૂરી રૂપિયા 160 સુધી જ મળે છે
હાથસાળના કારીગરો દિવસ દરમિયાન વધુમાં વધુ ફક્ત બે ધાબળીઓ જ બનાવી શકતા હોય છે, જેમાં સંપૂર્ણપણે માનવશક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આ કામમાં ક્યાંય પણ મશીનનો ઉપયોગ થતો નથી. હાથસાળના કારીગરોએ ETV BHARAT સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ મજૂરી ઉપર ઉનની ધાબળી બનાવવાનું કામ કરે છે. તેઓને એક ધાબળી બનાવવાની મજૂરી રૂપિયા 140 થી લઈને રૂપિયા 160 સુધી જ મળે છે, ત્યારબાદ તેઓ ધાબળી વેપારીઓને પરત મોકલી આપે છે. જેમાં વેપારીઓ દ્વારા અંદાજીત એક ધાબળીના 1200 થી લઈને 1500 રૂપિયા સુધી ગ્રાહકો પાસેથી લેવામાં આવતા હોય છે. જેમાં મોટો ફાયદો મહેનત કરતા હાથસાળના કારીગરો કરતા વેપારીઓ કમાતા હોય છે.
કારીગરો હાલ કરી રહ્યા છે મંદીનો સામનો
હાથસાળના કારીગરોને સરકાર કંઈક પ્રોત્સાહન આપે તેની રાહ જોઇને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે કારીગરો હાલ મંદીનો પણ સામનો કરી રહ્યાં હોય તેવું કારીગરોએ ETV BHARATને જણાવ્યું હતું. સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં તેઓને હાથસાળનું પૂરતા પ્રમાણમાં કામ પણ નથી મળી રહ્યું. જેના કારણે તેઓ વ્યવસ્થિત પોતાનું જીવનવ્યાપન કરી શકતા નથી.