ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમ ખાતે સાત દીકરીઓનો ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં યોજાયેલા લગ્નમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, અને પાલિકાના સદસ્યો, વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ જાડેજા, શૈલેષભાઈ ફોજી, અને વિવિધ સંસ્થાના આગેવાનો સહિતના શહેરીજનો દીકરીઓના માવતર બન્યા હતા.
આ લગ્નોત્સવમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો, હોદ્દેદારો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અનાથાશ્રમની સાત દીકરીઓ પરણીને પ્રભુતામાં પગલા માંડે તે પહેલા ગોંડલના ટાઉનહોલ ખાતેથી વિશાળ વરઘોડો બાલાશ્રમ ખાતે વાજતે ગાજતે આવી પહોંચ્યો હતો. તેમાં જાનૈયાઓનું સાંસદ, ધારાસભ્યો, મુખ્ય મહેમાનો સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
![gondal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5766049_gonnn.jpg)
ગોંડલ બાલાશ્રમની સ્થાપના મહારાજા સર ભગવતસિંહજીના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. ત્યારે આજે પણ બાલાશ્રમમાં આશ્રિતોના અમીર ઘરના લગ્નોત્સવને શરમાવે તેવા ભપકાદાર લગ્નોત્સવ યોજવામાં આવી રહ્યા છે. રાજવી પરિવારના મહારાજા પણ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
![gondal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5766049_gondal.jpg)
આ પહેલા પણ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્રી દિવ્યાબાના યોજાયેલ લગ્ન પહેલા દિવ્યાબાએ જણાવ્યું હતું કે, પોતાના લગ્ન સાદગીથી કરવામાં આવે અને પોતાના લગ્નમાં થયેલી બચતથી બાલાશ્રમની બાળાઓના લગ્ન કરવામાં આવે. જેમને કારણે ધારાસભ્યના દીકરીબાના સદવિચારોના કારણે બાલાશ્રમની 7 બાળાઓને વેવિશાળનો લાભ પણ ધારાસભ્યો અને પરિવારને મળ્યો હતો.
માતા પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔદ્યોગિક, સામાજિક, આગેવાનોની સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાયા હતા. આ વખતે રાજકોટના નિલેશભાઈ લુણાગરીયાએ દરેક દીકરીને કરીયાવરમાં 100 વારનો પ્લોટ આપ્યો છે. જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.