રાજકોટઃ બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે. એવામાં તેની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. રાજકોટના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે. ત્યારે બીજી તરફ રાજકોટ મનપા દ્વારા શહેરમાં લગાડવામાં આવેલ વિવિધ હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કંટ્રોલરૂમ તૈયાર: વાવાઝોડાને પગલે રાજકોટ યાર્ડમાં પણ વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને જણસી લાવવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. એવામાં વહીવટી તંત્ર દ્વારા પણ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. શહેરમાં વાવાઝોડાને પગલે કોઈ જાનહાની ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા હાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા NDRFની એક ટીમ રાજકોટ આવી પહોંચી છે.
NDRF ટિમ તૈનાત: રાજકોટના મોરબી રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અતિ આધુનિક સાધનો સાથે આ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારમાં વાવઝોડાની અસસ વધુ જણાશે તો તાત્કાલિક રાજકોટ ખાતેથી ટીમ તે જિલ્લામાં જશે. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પર ભારતીય કોસ્ટ ગાર્ડના બે હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લામાં મોટી જાનહાની સર્જાય તો હવાઈ માર્ગનો ઉપયોગ રાજકોટ એરપોર્ટ ખાતેથી થઈ શકે છે.
ખેડૂતો જોગ મહત્વનો નિર્ણય બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે વરસાદની પણ શક્યતાઓ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ જણસીની આવકને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેર કરવામાં આવી છે. યાર્ડમાં પ્લેટફોર્મની બહાર ઉતરતી જણસીની આવકને બંધ કરવામાં આવી છે. ખેડૂતોની જણસી ખુલ્લા પ્લેટફોર્મ ઉપર પડી હોય તો તેને ભારે નુકસાની થાય તેવી પણ શક્યતાઓ છે. આ નિર્ણય બે દિવસ સુધી અમલમાં રહેશે.