પોરબંદરઃ કોરોના વાઈરસની મહામારીમાં પોરબંદર પોલીસે કોરોના વોરિયર બની છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર કામગીરી બજાવી છે. લોકડાઉનના નિયમોનું પાલન થાય તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાં મુજબ અમલવારી થાય તે માટે અત્યાર સુધીમાં 2500 જેટલા જાહેનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે. જેમાં 4000 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લોકડાઉનમાં જરૂરિયાતમંદ 500 પરિવારોને રાશનકીટનું વિતરણ
અત્યાર સુધીમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગના 2500 કેસ, 4000 સામે કાર્યવાહી. 1800થી વધુ પોલીસ જવાનો તડકામાં બજાવે છે ફરજ.
જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે સંવેદનશીલ સેવાકીય કામગીરી કરી જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ પણ કરવામાં આવેલ છે. 500 જેટલા પરિવારોને એક મહિનો ચાલે તેટલી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં 6 ડી.વાય.એસ.પી સહિત 7 પી.આઇ, 31 પી.એસ.આઇ, 500 પોલીસ મેન, હોમગાર્ડ, એસ.આર.પી, ટી.આર.બી, ફોરેસ્ટ સહિત 1800 પોલીસમેન ધોમધખતા તડકામાં ફરજ બજાવી લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા અને જાગૃત કરવા તેમજ જરૂરી નિયમોના પાલનની અમલલવારી કરવા કોરોના વોરિયર બની ફરજ બજાવી રહ્યાં છે.
પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસનાં સંકલનથી થતી કામગીરીમાં લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. લોકડાઉન હળવુ થતાં હવે રાત્રે કર્ફ્યુ અમલવારી માટે પણ પોલીસ દ્રારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ પર પણ 24 કલાક કામગીરી ચાલુ છે.
પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે છેલ્લા બે મહિના દરમિયાનની કામગીરી અંગે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા તેમજ સરકાર દ્રારા આપેલ લાકડાઉનને 100% સફળ બનાવવા તેમજ જાહેર જનતાને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ દ્રારા સિનીયર સીટીજન તેમજ કોઇ હોસ્પિટલના કામે જતા હોય તેવા માણસોને જે તે જગ્યાએ પહોચાડવા મદદ કરવામાં આવેલ છે. તેમજ પોલીસની હેલ્થ સારી રહે તે માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમો કરવામાં આવેલ છે. તેમજ પોરબંદરની જનતાને લોકડાઉન દરમિયાન સાંજના સમયે પોતાના ઘરમાં જ રહે તે માટે એન્ટી કોરોના ફેરી જેમા ડીજે સિસ્ટમ સરકારી વાહનમાં ફીટીંગ કરાવી તેમા પોલીસ કર્મચારીઓ અને પોરબંદર શહેરનાં નામાંકિત કલાકારો દ્રારા લોકોમાં જાગૃતી ફેલાવવા શેરીઓ મહોલ્લાઓમાં જઇ દેશભકતિના ગીતો ગાવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એસ.પી. કચેરીમાં ઓટોમેટીક સેનેટાઇઝ મશીન પણ વસાવવામાં આવ્યું છે. આમ કોરોના સામે સાવચેતી રાખવા માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે.