- વડોદરાની NDRF ટીમ દ્વારા અનેક લોકોની બચાવ કામગીરી કરાઈ
- પોરબંદરમાં તથા ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી જિલ્લામાં જુદા-જુદા 19 રસ્તાઓ બંધ કરાયા
- જિલ્લામાંથી 964 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પોરબંદર- છેલ્લા બે દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ અને જામનગર સહિત પોરબંદરમાં પણ અનરાધાર વરસાદ પડતા પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા છે. ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે વડોદરાની NDRFની ટીમ દ્વારા સ્થાનિક લોકો તથા માછવારાઓ સાથે મળી ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘેડ વિસ્તારમાં બળેજ અમીપુર જતા રસ્તામાં પણ ચારે કોર પાણી ફરી વળ્યાં છે.
જિલ્લામાં સરેરાશ 29 ઇંચ વરસાદ નોંધાયો
પોરબંદર જિલ્લામાં હાલ અત્યાર સુધીમાં સીઝનનો કુલ 29 ટકા જેટલો વરસાદ થયો હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં પોરબંદર તાલુકામાં 28 ઇંચ, કુતિયાણા તાલુકામાં 30 ઇંચ અને રાણાવાવ તાલુકાનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાદર અને વર્તુ ડેમના પાટિયા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસી જવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદનું પાણી દરિયામાં જાય તે માટે ગોસાબારા પાસે રેતીનો પારો તોડવામાં આવ્યો છે.
જિલ્લાના 964 અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નિચાણવાળા તથા અસરગ્રસ્ત લોકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુતિયાણા તાલુકામાંથી 285, પોરબંદર તાલુકામાંથી 544 તથા રાણાવાવ તાલુકામાંથી 134 લોકો એમ સમગ્ર જિલ્લામાંથી 964 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લામાં 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા
બે દિવસ પહેલા અતિ ભારે વરસાદના કારણે પોરબંદર- ચૌટાથી જૂનાગઢ જતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પૂર તથા ઉપરવાસમાંથી પાણી આવવાથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર દ્વારા જિલ્લામાં જુદા-જુદા 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ભડ ચિકાસા રોડ, અમીપુર બળેજ રોડ, કડછ મંડેર રોડ, પાતાસરમાં રોડ, રાતીયા ગોગન બેટ રોડ, નેરાણા છત્રાવા રોડ, એરડા પાદરડી રોડ, જાંબુ પાદરડી રોડ, ગોસા-મોકર-બાપોદર- કંડોરણા રોડ, કોયાણા -જાંબુ- કેરાળા-બપોદર રોડ, સેગરસ છત્રાવા રોડ, જમરા છત્રાવા રોડ, છત્રાવા મહિયારી રોડ, મહિયારી ધરસણ, મહિયારી બળેજ રોડ, ધરસણ રેવદ્ર કદેગી રોડ, ઘરસણ ગઢવાણા સમેગા રોડ, દેસિગા મોડદર રોડ, કંટ્રોલ એપ્રોચ રોડ હાલ વધુ વરસાદના કારણે બંધ કરાયા છે.
લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઇ
ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ સંભવિત 18 સપ્ટેમ્બરના રોજ રસ્તો ખોલવામાં આવશે. પોરબંદરમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.