પોરબંદર: વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. આ વાઈરસના ફેલાવાને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકો ઘરમાં હોય અને અનેક વ્યવસાયો પણ બંધ હોવાના કારણે મોટી આર્થિક તારાજી પણ સર્જાય છે.
આ કપરા સમયે સરકાર લોકોને વધુ મદદ કરે તે માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સંસદસભ્યો અને ધારાસભ્યોનેના પગારમાંથી 30 ટકા પગારના કોરોનાની જંગ સામે લડવામાં અને લોકોની સેવામાં આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સાંસદ રમેશ ધડુકે પોતાના 12 મહિનાનો પગાર દેશ સેવામાં અર્પણ કરવાનું એલાન કર્યું છે. લોકો એ આ નિર્ણયને બિરદાવ્યો છે.
પોરબંદરમાં મંગળવારે સાંસદ રમેશ ધડુકે વિસાવાડા PHC સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પોરબંદરના બોખીરા પંચવટી અને ખરવાવાડ વિસ્તારમાં ચાલતા સેવાકીય કાર્યો સ્થળની મુલાકાત લીધી હતી. સેવાભારતી સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવામાં આવતા રાસન કીટ સામગ્રીમાં સેવા બજાવતા સ્વયંસેવકોને સાંસદ રમેશ ધડુકે મળ્યા હતા. આ સાથે ઈશ્વર કોરોના મહામારીથી દેશને ઉગારી લે તેવી પ્રાર્થના તેઓએ કરી હતી.