પોરબંદરમાં શ્રેષ્ઠ અને વર્લ્ડક્લાસ સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારનો હેતુ છે. અસ્માવતી રિવરફ્રન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદર આવ્યા હતાં. જયાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારોથી વિશ્વભરમાં થઈ રહ્યો છે. ત્યારે ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન સહિત હવે પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લઈ લોકોએ આગળ વધવાનું છે. પોરબંદરના બંદરને પણ આધુનિક બનાવવાનું છે.
અસ્માવતી રિવરફ્રન્ટ માટે સરકારે 40 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. સરકાર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત જળસંચયના કાર્યક્રમથી 23 લાખ ઘનમીટર પાણીનું સ્થળ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. આ દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ ડિસેલિનેશન સેન્ટર પણ પોરબંદરમાં સ્થપાઈ રહ્યો છે.
વધુમાં વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, વધુ વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, તે ખેડૂતોને સહાય આપવા સરકાર વિચારી રહી છે. ઉપરાંત પોરબંદરના રિવરફ્રન્ટની ટિકિટ પણ વ્યાજબી ભાવે રાખવામાં આવે અને તેનું મેન્ટેનન્સ જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.