- શંખેશ્વરના રૂપેણ નદીના પુલ પર સર્જાયો અકસ્માત
- સૌરાષ્ટ્રથી યાત્રા કરી પરત ભાભર તરફ જતી કારને નડ્યો અકસ્માત
- એક જ પરિવારના બે વ્યક્તિઓના ઘટના સ્થળે નિપજ્યા મોત
પાટણ: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ગુરુવારે મોડીરાત્રે શંખેશ્વર ગામે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બનાસકાંઠાના ભાભરમાં રહેતો માળી પરિવાર કાર લઈને સૌરાષ્ટ્રની યાત્રા પર ગયો હતો અને યાત્રા પૂર્ણ કરીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે ગુરુવારે મોડી રાત્રે કાર શંખેશ્વર ગામે આવેલા રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન કાર ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પૂલના ડિવાઇડર સાથે ટકરાતા ગાડીનો કચ્ચરઘાણ થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી
આ અકસ્માતને પગલે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઈજાઓ થવાને કારણે એક જ પરિવારના બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 10 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહોનું પંચનામુ કરીને પોસ્ટમોર્ટમ અર્થે શંખેશ્વર CMC ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ બાબતે શંખેશ્વર PSI એસ.બી.સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ શંખેશ્વર સી.આર.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.