પાટણ: આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા હારીજ આઈ.ટી.આઈ.ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહાનુભાવો દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોપા વિતરણ કરવા માટે પાંચ જેટલા વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સ્થળ પર વન વિભાગ દ્વારા રોપા વિતરણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન ચાર વૃક્ષો જેટલો ઓક્સિજન ગ્રહણ કરે છે. જેની ભરપાઈ માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા ચાર વૃક્ષો વાવવા જોઈએ. સાથે જ આધુનિક યુગમાં પરિવર્તન સાથે ફેલાયેલા પ્રદુષણથી પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે દરેક વાહનની ખરીદી વખતે પણ વૃક્ષો વાવી વાતાવરણને સંતુલિત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
પાટણ લોકસભા મતવિસ્તારના સંસદ ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, વૃક્ષો માનવજાતના પરમ હિતૈશી અને સ્વજન સમાન છે. પ્રાણવાયુ સહિત અનેક લાભ આપતા વૃક્ષોના વાવેતર અને સંવર્ધન થકી આપણે સૌએ પ્રકૃતિનું ઋણ અદા કરવાનું છે.