- પાટણમાં 139મી રથ યાત્રાની તૈયારીઓ પુર જોશમાં શરૂ કરાઇ
- મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરાયા
- જગદીશ મંદિર ખાતે પ્રથમવાર ભગવાનની નૌકા વિહાર મનોરથ યોજયો
- ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
પાટણ: શહેરમાં પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી 139મી રથયાત્રાને અનુલક્ષી જગદીશ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. સોમવારે ભગવાનની તબિયત નાદુરસ્ત થતાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચાર સાથે રૂના પૂમડાં, વરિયાળીનું પાણી, કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rathyatra 2021: વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોએ સુરત ઇસ્કોન મંદિરમાં મોકલ્યા વાઘા
ભગવાન જગન્નાથના નૌકાવિહાર માટેનું આયોજન કરાયુ
મંગળવારે મંદિર પરિસર ખાતે પ્રથમ વાર ભગવાન જગન્નાથની નૌકા વિહાર માટેનું આયોજન કરાયુ હતું. કોરોના મહામારી દેશ અને દુનિયામાંથી દૂર થાય અને ભગવાન દરેકની નૌકા પાર કરાવે તેવા ઉદ્દેશ સાથે મંગળવારે મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથની નૌકાવિહારનું સુંદર આયોજન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તોએ ભગવાનને નૌકા વિહાર કરાવી આનંદ અનુભવ્યો હતો.
આ પણ વાંચો: પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનમાં એકાદશી નિમિત્તે 51 મણ કેરીના શણગારથી "આંબા મનોરથ ઉત્સવ" યોજાયો
ભગવાનના વાઘા તૈયાર કરાયા
જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે શનિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્યનેત્રો ખોલવામાં આવશે, રથયાત્રાનો લઈ ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.તો સાથેજ મામેરાની તૈયારીઓ પણ પુર જોશમાં ચાલી રહી છે.