- પાટણમાં કોરોના કાળ વચ્ચે કલેકટરના હુકમથી ખાનગી ડોક્ટર સામે ગુનો નોંધાયો
- વહીવટી તંત્રના અધિકારીઓએ હોસ્પિટલમાં ઓચિંંતી તપાસ હાથ ધરી
- હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને ઈન્જેક્શનની ફાળવણીમાં ઘટ જણાતા ફરિયાદ નોંધાઈ
પાટણઃ જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાતા જિલ્લા કલેકટર દ્વારા ઓનલાઇન પોર્ટલ બનાવી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોને સરળતાથી ઈન્જેકશન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં પાટણની 25 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી
સરકારમાંથી મેળવેલા ઈન્જેક્શન દર્દીઓને જ આપ્યા છે: ડો. કાનજી રબારી
પાટણમાં હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારીએ ઓનલાઈન પોર્ટલ દ્વારા દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેક્શનની માગ કરી હતી, જેની ફાળવણી પણ કરવામાં આવી હતી. ત્યારે સોમવારે અધિકારીઓએ હોસ્પિટલમાં ઓચિંતી તપાસ કરતાં ફાળવેલા ઈન્જેક્શન અને દર્દીઓની સંખ્યામાં ઘટ જણાતા આ અંગેનો રિપોર્ટ તપાસ અધિકારીએ જિલ્લા કલેક્ટરને કર્યો હતો. આ અંગે કલેક્ટરે હોસ્પિટલની તપાસ કરનારા અધિકારીને હોસ્પિટલના તબીબ સામે છેતરપિંડીનો ગુનો નોંધાવા હુકમ કરાતા પાટણ બી ડિવિઝન પોલીસમથકે તપાસ અધિકારીએ તબીબ સામે ગુનો નોંધાવતા ખાનગી હોસ્પિટલોના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન
અધિકારીઓની તપાસ દરમિયાન કેટલાક દર્દી ડિસ્ચાર્જ થયેલા હતા
હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારીએ જણાવ્યું હતું કે, સરકારે જે ઈન્જેક્શન મને આપ્યા છે તે મેં જેતે દર્દીને જ આપ્યા છે. અધિકારીઓની તપાસ દરમિયાન કેટલાક દર્દીઓ ડિસ્ચાર્જ થયેલા હતા, જેની ચકાસણી વગર જ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બાબતે તેઓએ પાટણ ફિઝિશિયન એસોસિયેશનના પણ જાણ કરી છે.
ડોક્ટરે હોસ્પિટલ બંધ કરી દેતા દર્દીઓની મુશ્કેલી વધી
હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોએ જણાવ્યું હતું કે, અત્યારે અહીં કેટલાય દર્દીઓ દાખલ છે. અમે જાતે જ ઈન્જેક્શનો લાવ્યા છીએ છતાં ડોક્ટરે તમારી પાસે કોઈ વધારાનો ચાર્જ લીધો નથી. તેમ છતાં પણ ડોક્ટરને ખોટા વિવાદમાં સપડાયાં હતાં. તેમણે હોસ્પિટલ બંધ કરતા અમારા દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. શહેરની તમામ હોસ્પિટલો હાઉસફૂલ છે ત્યારે હવે દર્દીઓને સારવાર માટે અમારે ક્યાં લઈ જવા. ઉલ્લેખનીય છે કે, પાટણ શહેર સહિત જિલ્લામાં એક બાજુ કોરોના બેકાબૂ બન્યો છે, જેને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે છતાં પણ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પોતાના જીવની પરવા કર્યા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે કલેકટરના આદેશથી કરાયેલી ફરિયાદના પડઘા આગામી દિવસોમાં કેવા પડશે તે જોવું રહ્યું.