- ભાજપનું આદિવાસી મતદારોને રીઝવવા સ્ટાર પ્રચારકનું કાર્ડ
- ભાજપ માટે વાંસદાનો ગઢ ભેદવો મુશ્કેલ
- ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 17માંથી 13 બેઠકો કોંગ્રેસે જીતી હતી
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જિલ્લાના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો ગઢ જીતવા ભાજપે સ્ટાર પ્રચારકનો ઉપયોગ કરવાની રણનીતી અપનાવી છે. ખાસ કરીને વાંસદાને જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેમાં વાંસદાના જામલિયા ખાતે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ગઢમાં સભા કરશે. ત્યારબાદ ચીખલીમાં પણ જિલ્લા અને તાલુકા પંચાયતો અને ગણદેવી નગરપાલિકાના ઉમેદવારોને જીતાડવા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
આદિવાસી પટ્ટાના ત્રણ તાલુકા કોંગ્રેસના પંજામાં
જિલ્લાના 6 તાલુકાઓમાંથી ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતો કોંગ્રેસના પંજામાં છે જ્યારે જિલ્લા પંચાયતની 17 બેઠાકોમાંથી 13 બેઠકો ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી. જેથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પછાડવા ભાજપે કમર કસી છે.