- તોતીંગ ક્રેઇન કિરણ મિસ્ત્રી પર પડતા થયું મોત
- 31 વર્ષોથી અમેરિકાના ન્યુજર્સીમાં હતા સ્થાયી
- અવસાનથી નવસારીના પરિવારજનોમાં શોકની લાગણી
નવસારી: અમેરિકામાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત મૂળ નવસારીના કિરણ મિસ્ત્રી ઉપર તોતિંગ ક્રેઇન પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કિરણના મોતના સમાચાર સાંભળી નવસારીના તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.
કિરણ મિસ્ત્રી 31 વર્ષોથી અમેરિકામાં થયા હતા સ્થાયી
મૂળ નવસારીના અને 31 વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સિવિલ એન્જીનિયર કિરણ મિસ્ત્રી અમેરિકાના ફિલાડેલ્ફીયા સ્થિત યુનિવર્સિટી સીટીમાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત હતા. ગત મંગળવારે કિરણ નોકરી પર હતા ત્યારે જમીને બહાર નિકળતા હતા, ત્યારે અચાનક એક વિશાળ ક્રેઇન પલટી મારી ગઈ અને તેમના ઉપર આવી પડી હતી. ક્રેઇન નીચે દબાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આથી તાત્કાલિક તેમને નજીકના પેન પ્રિસ્બીટેરિયન મેડિકલ સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે કામદારોને પણ સારવાર હેઠળ ખસેડાયા હતા. કિરણના અકસ્માતમાં મોતની ખબર નવસારી તેમના કાકાભાઈ સુરેશ મિસ્ત્રીના પરિવારને થતા, તેઓ આઘાતમાં સરી પડયા હતા.

નવસારીના પરિવારજનોમાં શોકની લાગણી
સુરેશભાઈએ જણાવ્યુ કે કિરણ પણ મારા કાકાનો એકનો એક દિકરો હતો. 4 વર્ષ અગાઉ જ તેઓ નવસારી મારી બહેનને ત્યાં મોસાળામાં આવ્યા હતા. જ્યારે મોટા દિકરા કેતનના લગ્નનું વિચારી કિરણ અને પરિવાર આવતા વર્ષે નવસારી આવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેનો સ્વભાવ હસમુખો અને દરેકને મળતાવડો હતો. કિરણે સિવિલ એન્જીનીયરીંગ કર્યા બાદ મુંબઇમાં થોડા મહિના નોકરી કરી હતી. બાદમાં તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.