નવસારી : ભારતના આયુષ મંત્રાલયે કોરોના વાઈરસના વધતા સંક્રમણને રોકવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં સમયસર બચાવ કરવાથી ભવિષ્યના ગંભીર પરિણામોમાંથી બચવા પ્રત્યેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર ભાર મૂક્યો હતો. જેને ધ્યાને લેતા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી રામબાણ સાબિત થઇ શકે છે. જેમાં આર્સેનિક આલ્બમ દવા અસરકારક છે.
![homeopathic medicine distribution for immunity boosting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-homeopathic-medicine-photo-gj10031_05052020200416_0505f_1588689256_41.jpg)
હોમિયોપેથીક દવાઓ શ્વસનતંત્રના રોગો, ફ્લૂ, ન્યુમોનિયા, લંગ ફાયબોસિસ જેવા અસાધ્ય રોગોને જડમૂળથી દૂર કરે છે. જેથી શ્વસન રોગ ફેલાવતા કોરોના વાઈરસ સામે લડવામાં મદદરૂપ બની શકે છે. શરીરમાં રહેલા બિનજરૂરી કચરાને દૂર કરી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન શૈલી માટે મહત્વની આર્સેનિક આલ્બમ દવા માનવીનાં શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
![homeopathic medicine distribution for immunity boosting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-homeopathic-medicine-photo-gj10031_05052020200416_0505f_1588689256_399.jpg)
નવસારી જિલ્લાના બે ભાજપ યુવા નેતા સનમ પટેલ અને ડૉ. શિરીષ ભટ્ટ દ્વારા નવસારી અને ડાંગ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકોને કોરોના સામે રામબાણ એવી હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ દવા આપવામાં આવી રહી છે. બંને યુવાનો દ્વારા અત્યાર સુધીમાં બંને જિલ્લાઓમાં 2 લાખ લોકોને હોમિયોપેથીક દવાની ગોળીઓ વિનામૂલ્યે અપાઈ છે.
![homeopathic medicine distribution for immunity boosting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-homeopathic-medicine-photo-gj10031_05052020200416_0505f_1588689256_19.jpg)
ઉલ્લેખનીય છે કે, હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ દવા ભૂખ્યા પેટે લેવામાં આવે તો જ કારગર સાબિત થઇ શકે છે. જેની માહિતી સાથે બંને યુવાનોએ લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું વિતરણ કર્યું છે. બંને યુવાનોના આ સેવા યજ્ઞને લોકોએ આવકાર્યો હતો.