નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવાને લઈને જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં ગણદેવી અને જલાલપુર તાલુકાના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
18 ગામના ખેડૂતો અસરગ્રસ્ત: 18 ગામડાઓના અસરગ્રસ્ત ખેડૂતો એકજૂઠ થઈ શ્રી મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિની રચના કરી છે. મરોલીમાં આવેલા કોળી પટેલ સમાજની વાડીમાં આ વિસ્તારના તમામ 18 ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનોએ બેઠક કરી છે. એક જૂથ થઈ પાવર ગ્રીડ હાઈટેન્શન લાઈન ખેતી અને બાગાયતી વિસ્તારમાંથી નહીં પણ કાંઠાના કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (crz) વિસ્તારમાંથી લઈ જવામાં આવે એવી માંગ કરી છે.
ઉગ્ર આંદોલનની ચીમકી: અગાઉ પણ આ મુદ્દે બેઠક કરવામાં આવી છે જેમાં જિલ્લાના પ્રાંત અધિકારી અને એજન્સીના અધિકારીઓ સાથેની વાતચીતની બેઠકમાં આ હાઈટેન્શન લાઈન ખારપાટ વિસ્તારમાંથી લઈ જવામાં આવે એવી વાત નક્કી કરવામાં આવી હતી પરંતુ એજન્સીએ ફરી એ જ જગ્યા પર પોતાની કામગીરી શરૂ કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર આ સમસ્યાનો યોગ્ય ઉકેલ ન લાવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
'આ હાઈટેન્શન લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન વેઠવાનો વારો આવશે ખેડૂતોને મારીને વિકાસ કરવો તે યોગ્ય નથી. મારા વિસ્તારમાં આવેલી ખાણ ખાંજરની જમીનમાંથી આ લાઈનો લઈ જવામાં આવે તો સરકારને પણ આર્થિક ભારણ ઓછું પડશે અને ખેડૂતોની ખેતીની જમીન પણ બચી જશે. તેથી સરકાર જો યોગ્ય નિર્ણય ન લાવશે તો અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાશું નહીં.' -સંજય ભાઈ, છીણમ ગામના ખેડૂત
આ સમગ્ર મુદ્દે આગેવાન દિલીપ રાયકા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન જલાલપોર અને ગણદેવી તાલુકાના ગામડાઓમાંથી અપસાર થવાની હોય ગત સપ્ટેમ્બર 2022 માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. એમાં અસરગ્રસ્ત ખેડૂતોના નામ કે એમની જમીનના બ્લોક નંબર પણ આપવા આવ્યા ન હતા. જાહેરનામામાં ફકત ગામોના જ નામ હતા, જેથી ખેડૂતો સરકારની નીતિરીતિ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય