નર્મદાઃ જિલ્લામાં નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવા બાબતે ઘણી ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સીએમ રૂપાણીને પત્ર લખતા ખળભળાટ મચ્યો છે.
ભાજપ સાંસદે પોતાના પત્રમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વિસ્તારમાં નર્મદા નદીના તટ પરના ગામોમાં અવેદ્ય રેતી ખનન કરતા 10-15 હાઈવા ટ્રક અને મશીનો સ્થાનિક ગ્રામજનોના સપોર્ટથી પકડી પાડ્યા હતા. ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આવા રેતી ખનન કરતા લોકોને પોલીસ પકડી સામાન્ય કેસ કરી મામલો રફે દફે કરાઈ રહ્યો છે. ગેરકાયદેસર રેતી ખનન રોકવા સરકાર દ્વારા વડોદરા જિલ્લા પ્રસાશનને નિર્દેશ આપે એવી તેમણે માગ કરી છે.
![Bharuch MP's red eye against sand mafias,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nmd-01-cmnepatr-avb-vis-gjc1006_24052020144909_2405f_1590311949_347.jpg)