- હળવદના માથક ગામે ગોવંશ પર હુમલો
- 8 ગૌવંશ પર અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારો વડે કર્યો હુમલો
- ગ્રામજનો દ્વારા આરોપીને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો
મોરબીઃ જિલ્લાના હળવદ પંથકમાં ગૌવંશ ઉપર હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ લેતી ન હોય તેમ વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માથક ગામે ગુરૂવારે અજાણ્યા શખ્સોએ વધુ 8 જેટલા ગૌવંશને ટાર્ગેટ કરી પશુઓની પીઠ ઉપર કુરતાપૂર્વક તિક્ષણ હથિયારોના ઘા ઝીકયા હતા. ઘાતકી હુમલાઓ થતા આ 8 ગૌવંશ લોહી નિકળતી હાલતમાં ગામમાંથી મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
પોલીસ દ્વારા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી
આ બનાવને પગલે હળવદની ગૌપ્રેમી સંસ્થા શ્રી રામ ગૌશાળાના અગ્રણીઓ અને બજરંગ દળના કાર્યકરો માથક ગામે જવા રવાના થયા હતા અને હુમલામાં ઇજા પામેલા 8 ગૌવંશની સ્થળ ઉપર સારવાર કરવામાં આવશે તેમજ વધુ સારવારની જરૂર જણાશે તો એમ્બ્યુલન્સ મારફત હળવદ ગૌશાળા ખાતે લાવીને સઘન સારવાર કરવામાં આવશે. સાથે જ ગ્રામજનો દ્વારા આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગૌવંશ પર સતત હુમલાની ઘટનાઓને લઈ ગૌપ્રેમીઓમાં રોષ
ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ રોજિંદી બની છે. દરરોજ કોઈને કોઈ ગામમાં ગૌવંશ ઉપર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. જોકે, આવા બનાવો અટકાવવા માટે થોડા સમય પહેલા ગૌપ્રેમીઓએ હળવદ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તેમછતાં આવા ગંભીર બનાવોમાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસે એકપણ દોષિત સામે કાર્યવાહી ન કરતા એના પરિણામે ગૌવંશ ઉપર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેથી ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્ર ઉપરાંત રાજનેતાઓની પણ ચૂપકીદી ગૌપ્રેમીઓ અકળાવી રહી છે. કારણે અત્યાર સુધીમાં હળવદ પંથકમાં સંખ્યાબંધ ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ બની હોવા છતાં એકપણ રાજનેતાએ આ બનાવ મામલે અવાજ ઉઠવ્યો નથી. ત્યારે રાજનેતાઓ અને પોલીસ તંત્ર સાથે મળીને આવા બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓએ માંગ કરી છે.