મોરબી: જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં 14 ઓગસ્ટના રોજ રાત્રી દરમિયાન પ્રેમ પ્રકરણના મનદુઃખને લઈ યુવાનને જીવતો સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઇ મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
હળવદ તાલુકાના વેગડવાવગામે હનુમાનજી મંદિરની ઓરડીમાં સૂતેલા વિક્રમ હરેશભાઈ પીપળીયા નામના યુવાન પર જ્વલનશીલ પ્રવાહી રેડી યુવાનને જીવતો સળગાવી દેવાનો બનાવ બે દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. ગંભીર હાલતમાં દાજી ગયેલા યુવાનને રાજકોટ સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ બાદ મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.