મોરબી અધિક કલેકટર કેતન જોષી અને SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. જેમાં DYSP મુનાફખાન પઠાણ, મામલતદાર ડી જે જાડેજા, નાયબ મામલતદાર ગંભીર અને તાલુકા PSI જાડેજા જોડાયેલા છે. આ ટીમ આજે કાંતિલાલના ઘરે પહોંચી હતી અને કાંતિભાઈને સમજાવવાના પ્રયાસ કર્યા હતાં.
સમજાવટ માટેની બેઠક બાદ DYSP મુનાફખાન પઠાણે જણાવ્યું હતું કે, કાંતિલાલ કોઈ ખોટું પગલું ન ભરે તે સમજાવવા ટીમ આવી હતી. તેમણે ખાડો ખોદીને સમાધિ લેવાની વાત કહી નથી. તેમણે નિવેદનમાં એવું જણાવ્યું છે કે, તે સમાધિ સ્થળે ધ્યાનમાં બેસી જશે અને તેનો પ્રાણ છૂટી જશે તો ગુરુની વાત સાચી થશે નહિ તો હું ખોટો પડીશ.
તો આજે કાંતિલાલ મુછડિયા સાથે ફરીથી વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ કોઈ ગેરકાનૂની પગલું ભરશે નહિં. જીલ્લા એસપીએ તેમને સમજાવ્યા છે અને તેઓ પણ કાયદાને માન આપશે. શનિવારે મોડી રાત્રીના સમયે વિજ્ઞાનજાથાની ટીમે પણ મુલાકાત કરી હતી. તો આજે રચાયેલી ખાસ ટીમ સાથે વાતચીત દરમિયાન કાંતિલાલે અગાઉ મગજની તકલીફની દવા લેતા હોવાનો પણ એકરાર કર્યો હતો.