મોરબી: લોકડાઉન વચ્ચે છૂટને પગલે મોરબીનો પેપરમિલ ઉદ્યોગ શરુ તો થયો પરંતુ બહુ જલ્દી બંધ થઇ શકે છે.સરકારના આદેશ મુજબ મોરબીના વહીવટી તંત્રએ મોરબીના પેપરમિલ ઉદ્યોગને શર્તી મંજુરી આપી છે અને મોરબીના 50 પેપરમિલ એકમો પૈકી 25 જેટલા એકમો ધમધમતા થયા છે. રો મટીરીયલ્સની સમસ્યા ઉદ્યોગને સતાવી રહી છે, જે અંગે પેપરમિલ પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા જણાવે છે કે, મોરબીના 25 જેટલા યુનિટ શરુ કરવામાં આવ્યા છે.
જોકે હાલની સ્થિતિમાં પેપરમિલ માટેનું રો મટીરીયલ્સ વેસ્ટ પેપર મળતા નથી આ રો મટીરીયલ્સ યુરોપ અને અમેરિકાથી આવતું હોય છે અને લોકડાઉનને પગલે સપ્લાય અટકી પડ્યા છે. હાલ એકમો પાસે આગામી 10 થી 15 દિવસનો રો મટીરીયલ્સનો સ્ટોક છે, પરંતુ સપ્લાય શરુ ના થઇ તો ઉદ્યોગ બંધ કરવા પડશે.
પેપરમિલ ઉદ્યોગનું રોજનું 7500 ટનનું ઉત્પાદન થાય છે, જોકે માલનું ડીસ્પેચ થતું ના હોવાથી ઉત્પાદન રોકવાની ફરજ પડી શકે છે. તેમજ સરકારે આદેશ આપ્યા છતાં શીપીંગ ચાર્જ વસુલવામાં આવે છે તે અંગે પણ ઉદ્યોગે યોગ્ય કરવા માંગ કરી છે.
મોરબીના પેપરમિલ ઉદ્યોગ માટેના રો મટીરીયલ્સની અછત અંગે વેપારી જયેશભાઈ પટેલ જણાવે છે કે, પેપરમિલ ઉદ્યોગમાં વેસ્ટ પેપર મુખ્ય રો મટીરીયલ્સ છે 80 ટકા જેટલો હિસ્સો વેસ્ટ પેપરનો હોય છે. જોકે વેસ્ટ પેપરના ગોડાઉન મુખ્યત્વે સીટી વિસ્તાર નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા છે અને સરકારે પાલિકા હદ વિસ્તારમાં છૂટ આપી નથી, જેથી ગોડાઉન ખોલી સકાતા નથી. આ મામલે સરકાર વિચારણા કરે અને મંજૂરી આપે તો ઉદ્યોગને રાહત મળી શકે છે.