- આજે ભારત બંધનું એલાન
- દિલ્હી સરહદ પરના ખેડૂતોએ કર્યું એલાન
- ભારત બંધને વડનગરમાં સંપૂર્ણ સમર્થન
મહેસાણાઃ ભાજપના શાસનમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત માટે 3 નવા કાયદા લાવવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેને લઇને ગત કેટલાક દિવસથી પંજાબ, હરિયાણા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો દિલ્હીની સરહદે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેથી આ ખેડૂતોના સમર્થનમાં આજે મંગળવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને સમગ્ર રાજ્યમાં મોળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં આ બંધને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. જેથી મંગળવારે સમગ્ર વડનગર બંધ હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811547_b.jpg)
વિજય રૂપાણીએ ગુજરાત શરૂ રહેવા અંગે કહ્યું
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત બંધના આગલા દિવસે સોમવારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાત બંધ નહીં કરવા અંગે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને સરકાર પર વિશ્વાસ છે. જેથી તેમને ટેકાના ભાવો મળતા રહેશે, પરંતુ મુખ્યપ્રધાનના આ નિવેદનના બીજા જ દિવસે વડાપ્રધાન મોદીનું વતન સંપૂર્ણ બંધ રહ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811547_a.jpg)
જાહેર બજારો સંપૂર્ણ પણે રહ્યા બંધ
રાજ્યમાં ખેડૂત આંદોલનના ભારત બંધના એલાનને નિષ્ફળ બનાવવા ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનથી જ ખેડૂત આંદોલનને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. જેથી વડનગરની બજારો અને દુકાનો સમગ્ર દિવસ દરમિયાન બંધ રહી હતી. આ સાથે જ વડનગરને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ પણ સૂમસામ રહ્યા હતા.