કડી વિસ્તાતના સ્થાનિકો અને દેશ વિદેશ વસતા અહીંના NRI લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાતા વડવાળા હનુમાનજીના દર્શનથી હજ્જારો લોકો ધન્યતા અનુભવે છે, ત્યારે અહીં આવતા દર્શનાર્થીઓ અને સેવકો ધર્મ શસ્ત્રોમાં લખેલા વિધિ વિધાન પ્રમાણે પ્રાણીઓની સેવાકાર્યને પ્રાથમિકતા આપતા શિયાળાની ઠંડીમાં ઠુંઠવાતા શ્વાન, ગાય, પક્ષીઓ વગેરેને રોટલા અને ચણ પૂરું પાડી રહ્યા છે. અહીં હનુમાનજી મંદિરની સ્થાપના થઈ ત્યારથી પ્રાણીઓ માટે 20 થી 35 રોટલાનો ખોરાક આપવાનું શરૂ કરાયું હતું.
સમય જતાં આ કાર્યને ધર્મપ્રેમી સેવકોએ ઉપાડી લેતા લગભગ 200 જેટલા રોટલા અને લાડુઓ સહિત ચણ પશુ અને પક્ષીઓ માટે દરરોજ સવારે મંદિરમાંથી આપવામાં આવે છે. જે લઈ સેવકો દ્વારા કડી શહેરના મહોલ્લાઓ અને શેરીઓમાં જ્યાં આવા ભૂખ્યા પશુઓ કે, પક્ષીઓ જોવા મળે તેમને આપવામાં આવે છે. મહત્વનું છે કે, આ સેવા કાર્ય માટે મહિલાઓ વર્ષના 365 દિવસ પશુઓ માટેના લાડુ હોય કે રોટલા તેમના પોતાના હાથે બનાવી સેવા આપે છે અને ના માત્ર શિયાળામાં જ પરંતુ કડી વિસ્તારના જીવોને આખાય વર્ષ માટે પેટનો ખાડો પુરવા માટે વલખા મારવાને બદલે સેવકોના પ્રેમ ભર્યા સ્વાદિષ્ટ ખોરાકને આરોગવા મળે છે.