મહીસાગરઃ હાલની COVID-19 પેન્ડેમિક અંતર્ગતની પરીસ્થિતિને ધ્યાને લઈને મહીસાગર જિલ્લાના થેલેસેમિયાના દર્દીઓની સારવારમાં વિક્ષેપનાં પડે તથા લોકડાઉન દરમિયાન દર્દીઓને સારવાર અર્થે બહારગામનાં જવું પડે તે હેતુસર મહીસાગર જિલ્લા કલેક્ટરની સુચનાથી મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા થેલેસેમિયાના દર્દીઓને નિઃશુલ્ક દવા તેમના ઘરે પહોચાડવામાં આવી છે.
જિલ્લા વહિવટી તંત્ર મહીસાગર જિલ્લાના કુલ 4 તાલુકાના 12 થેલેસેમિયા દર્દીઓ છે. આ 12 દર્દીઓ પૈકી લુણાવાડાની મોડાસા ફળી વિસ્તારમાં રહેતો આઠ વર્ષનો થેલેસીમિયા દર્દી મોહમ્મદ આયન અને બીજો છે લુણાવાડાના મોટા ડબઘરવાસ વિસ્તારમાં રહેતો સોળ વર્ષીય થેલેસેમિયાનો દર્દી અબુ જમાલ કે, જે બન્ને જન્મથીજ થેલેસેમિયાની બીમારીથી પીડિત છે.
થેલેસેમિયાના દર્દીઓને નિયમિત દવા અને રક્તની જરૂર પડતી હોય છે, જ્યારે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારીનું સંક્રમણ અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે અને જેના કારણે તમામ પ્રકારનો વાહન વ્યવહાર પણ બંધ છે.
જેથી કોઈપણ વ્યક્તિ બહાર જઈ શકતો નથી જેથી દર્દીઓના પરિવાર ચિંતિત હતા અને આવા કપરાં સમયમાં લુણાવાડાના દર્દીઓના પરિવાર સાથે મહીસાગર જિલ્લાના થેલેસેમિયાથી પીડાતા આ પરિવારોની વ્હારે આવ્યું છે.
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શનથી લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર કલ્પેશભાઈ સુથાર દ્વારા થેલેસીમિયાના દર્દીઓના ઘરે જઈને નિઃશુલ્ક દવા પહોંચાડવામાં આવી રહી છે.
તેમજ દર્દીઓને રક્તની જરૂરિયાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગોધરાના સંકલનથી વિનામૂલ્યે પૂરી પાડવા અંગેનું આયોજન પણ કરવામાં આવેલુ છે.
મહીસાગર જિલ્લાના કુલ 4 તાલુકાના 12 દર્દીઓને સદર સારવાર પૂરી પાડવામાં આવેલી છે. કુલ 12 દર્દીઓમાં પ્રા.આ.કેન્દ્ર મલેકપુરના 2, વરધરીના 1, ઉંદરાના 2, અર્બન લુણાવાડાના 3, ઉખરેલીના 1, માલવણના 1, અર્બન બાલાશિનોરના 1, જનોડના 1 દર્દીનો સમાવેશ થયો છે.