- મહીસાગરમાં ખેડૂતોએ પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત કરી
- બળદને કુમકુમ તીલક કરી ગોળ ખવડાવીને મીઠું મોં કરાવ્યું
- ખેતીના ઓજારોને તીલક કરી પૂજાઅર્ચના સાથે ખેતીનો શુભારંભ
- અખાત્રીજના દિવસથી બધા જ શુભ મુહૂર્તોની શરૂઆત
મહીસાગરઃ જિલ્લામાં ખેડૂતોએ અખાત્રીજના અનેરા દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત કરી હતી. આજે અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વહેલી સવારે ખેતરમાં ખેતીના ઓજારો સવેડુ, કળીયું, ટ્રેક્ટરને તીલક કરી પૂજાઅર્ચના સાથે નવા વર્ષ માટેની ખેતીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પૂજાઅર્ચના કરીને સૌથી ઉપયોગી ગણાતા ખેડૂતોના પ્રિય એવા બળદોની પણ પૂજા કરીને કુમકુમ તીલક બાદ ખેડૂત દ્વારા બળદોને ગોળ ખવડાવીને મોં મીઠું કરાવાયું હતું. અખાત્રીજ એ ખેડૂતો માટે નવા વર્ષ સમાન ગણાય છે. આજના શુભ દિવસથી ખેડૂતો ખેતીની પ્રવૃત્તિમાં જોતરાય છે.
આ પણ વાંચોઃ આજે અક્ષય તૃતિયા- જાણો આ દિવસનું મહત્વ
વધુમાં વધુ અનાજ પાકે તેવી ખેડૂતો દ્વારા ધરતીમાતાને પ્રાર્થના
ધરતીપુત્રો આ દિવસની આતુરતાથી રાહ દેખે છે ત્યારે આજે ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતરનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં વધુમાં વધુ અનાજ પાકે તેવી ખેડૂતો દ્વારા ધરતીમાતા પાસે પ્રાર્થના કરવામાં આવી છે. આ વર્ષ ખેતી અને પશુપંખી માટે સારું નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી. આજના દિવસથી બધા જ શુભ મુહૂર્તોની શરૂઆતને લઈને જિલ્લાના ખેડૂતો પોતાના કામોમાં જોતરાઈ ગયાં છે.
આ પણ વાંચોઃ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિએ સર્જાશે ધન યોગ