રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અમલમાં આવ્યો હતો. તે અંતર્ગત વ્યક્તિલક્ષી રજુઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ, માં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, વાહનવ્યવહાર, ઇ સ્ટેમ્પીંગસેવા, ગ્રામવિકાસ, પંચાયત, સમાજકલ્યાણની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો માટે અરજીઓ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના લાભો, વિધવાસહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
'સેવાસેતુ' કાર્યક્રમમાં સ્થળ પર જે-તે અરજદાર રજુઆત લઇને આવ્યા ત્યારે રજુઆતના ગુણદોષ, રજુ કરેલ અને જરૂરીયાત પ્રમાણે સ્થળ મુલાકાત કરીને રજુઆતોનો સ્થળ પર નિકાલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા કક્ષાના તંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1808 જેટલા લાભાર્થીઓને તેમના કામનો નિકાલ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના નાગરીકોનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.