મહીસાગર જિલ્લામાં 9 IITEના વિદ્યાર્થીઓ અને 2 અધ્યાપકો મળીને 11 ગાંધી વિચાર વિસ્તારકની એક ટિમ “ બાપુ સ્કૂલ મે” અભિયાનમાં કાર્યરત છે. તેમણે સંતરામપુરની જે.એચ મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બાપુના જીવન અને મૂલ્યો સમજાવી બાળકોને અનુસરવા વિચાર સિંચન કર્યું હતું.
![“બાપુ સ્કૂલ મે” અભિયાન અંતર્ગત ગાંધી વિચાર વિસ્તારકની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-01-bapuschoolmai-abhiyan-sanvad-script-photo-3-gj10008_30012020231730_3001f_1580406450_883.jpg)
મહીસાગર જિલ્લામાં છ તાલુકાઓમાં વિવિધ શાળાઓમાં ગાંધી વિચાર વિસ્તારક ટીમ દ્વારા ગાંધીજીના 11 વ્રત સત્ય, અહિંસા,અસ્તેય, અપરિગ્રહ, અશ્પૃશ્યતા ન રાખવી, અસ્વાદ, બ્રહ્મચર્ય, અભય, સર્વધર્મ સમભાવ, સ્વાવલંબન, સ્વદેશીને અપનાવી વ્યક્તિ નિર્માણ માટે જાતે અનુસરવા માટે અનુરોધ કર્યો હતો. અધ્યાપક ડો. રેખા ચૌધરીએ જણાવ્યુ હતું કે 'ગાંધી વિચાર વિસ્તારક' બનેલાં વિદ્યાર્થીઓ દ્વારા બાપૂના મૂલ્યો અને વિચારોને સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના આ અભિયાનમાં અમારી સાથેના 9 IITE ના વિદ્યાર્થીઓ મહીસાગર જિલ્લામાં ભ્રમણ કરીને શૈક્ષણિક આદાનપ્રદાન, અવલોકનથી જે તે જિલ્લાના સાંસ્કૃતિક અને પારંપરિક લોકજીવનનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.
અધ્યાપક ડૉ. દિવ્યા શાહે અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, પોતાના મૂલ્યો અને માન્યતામાં બાંધછોડ ન કરવાની કટિબદ્ધતા ગાંધીજીએ જીવી બતાવી હતી એવી મૂલ્યનિષ્ઠાનું અધ્યાપકો સહિત IITE માં તૈયાર થઈ રહેલા ભાવિ શિક્ષકોમાં સિંચન થાય તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ વિચારને જનસામાન્ય સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની તાલીમ આપવાનો છે.
સંતરામપુર ડાયટ પ્રાચાર્ય એ.વી. પટેલ, હર્ષદ પટેલ, જે.એચ મહેતા સ્કૂલના આચાર્ય વિપુલ પટેલ અને શાળા પરિવારે ગાંધી બાપુએ સૂચવેલા શિક્ષણના વિચારને આત્મસાત કરી દેશની ભાવિ પેઢીનું રાષ્ટ્ર નિર્માણ માટે ઘડતર કરવા ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના “બાપુ સ્કૂલ મે”અભિયાનને બિરદાવી જિલ્લામાં ગાંધીજીની 150 મી જન્મજયંતિ અવસરે થઈ રહેલી વિવિધ પ્રવુત્તિઓની માહિતી આપી હતી.