મહીસાગરઃ સમાજ માટે બાળમજૂરી એ શર્મનાક છે. જે ઉંમરે બાળકો રમવાનું ચાલુ કરે છે. શિક્ષણ લે છે. એ ઉંમરે બાળકોને બાળમજૂરી કરાવામાં આવે છે અને તે માટે ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા વગેરે કારણો મુખ્ય હોય છે અને જેના લીધે લાખો બાળકોનું જીવન હચમચી રહ્યું છે.
બાળમજૂરી રોકવા માટે સરકાર દ્વારા ઘણા કાર્યક્રમો અમલમાં મુક્યા છે. તેમના માટે ખાસ શાળાઓ ચલાવામાં આવે છે અને બાળકોને શાળામાં ગણવેશ, ભોજન વિનામુલ્યે પૂરું પાડવામાં આવે છે અને બાળકોને શિક્ષણ મળે એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
બાળ મજૂરી નાબુદી માટે વિવિધ સંસ્થાઓ પણ સક્રિય છે. જેમાંની એક સંસ્થા UPLએડવાન્ટ દ્વારા બાળ મજૂરી નાબુદી અભિયાનનો સેમીનાર રાખવામાં આવ્યો હતો. જેમાં બીજ ઉત્પાદન ક્ષેત્રમાં બાળ મજૂરોનો ઉપયોગ ન થાય અને ખેડૂતો એજન્ટો વચ્ચે બાળ મજૂરી વિશે જાગૃતા ઉભી થાય તે હેતુથી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ રાજપૂત સમાજ હોલ ખાતે ખેડૂતોનો સેમિનાર યોજાયો હતો.
સેમીનારમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સમિત પટેલ, જિલ્લા બાળ કલ્યાણ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળ મજૂરી રોકવા માટે યોગ્ય માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું.