મહિસાગર : જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં વાંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કેનપુર ખાતે આરોગ્ય કેન્દ્રની ટીમ અને રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાઇ હતો.
આ રકતદાન કેમ્પમાં 21 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન આપ્યું હતું. કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રકતદાન-મહાદાનના મંત્રને સાર્થક કર્યો હતો. આ રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાઇરસનો ચેપ ન લાગે. રક્તદાતાઓને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી અને હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સિનિયર મેડિકલ ઓફિસર શ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુરહિત રહે તેનું સુચારુ આયોજન કર્યું હતું. આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક રક્તદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં 21 યૂનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે. જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો ઉપોયોગી થઈ શકે છે. કોરોના મહામારી વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યો હતો.