- ભુજની જી.કે હોસ્પિટલમાંથી કુખ્યાત આરોપી નિખિલ દોંગા થયો હતો ફરાર
- ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હતી
- સાગરીતોને જેલમાં મળવા માટે મદદગારી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યુ
કચ્છઃ જિલ્લાના ભુજની જી.કે હોસ્પિટલમાંથી ગુજસિટોકના આરોપી નિખિલ દોંગા ફરાર થયો હતો. ત્યારે પોલીસે આ કેસમાં જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે. ભાજપના નેતાએ આરોપીને ભગાડવામાં મદદ કરી હતી.
ભાજપના મહામંત્રીની સંડોવણી ખુલતા પોલીસે ધરપકડ કરી
ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખિલ દોંગા ફરાર થવા મામલે મદદગારી કરનારા તમામ સુધી પહોંચવા પોલીસ પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે 8 એપ્રીલે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી છે. નિખીંલ દોંગાને મદદ કરનારા તેના સાગરીતોને જેલમાં મળવા માટે તે મદદગારી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચોઃ નિખિલ દોંગા કેસ : જી.કે. જનરલ હોસ્પિટલના ડ્યૂટી મેનેજરની ધરપકડ
પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી
આ કેસમાં અત્યાર સુધી 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આજે સોમવારે નિખિલના રીમાન્ડ પુર્ણ થઇ રહ્યા છે. ત્યારે તેની મદદગારી કરનારા વધુ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજુ કરી પોલીસે તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વધુ તપાસમાં હજુ પણ મોટામાથાના નામ ખૂલે તેવી શક્યતા
વિપુલ સંચાણીયા જેતપુર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે. જોકે, તેણે હજી કેવા પ્રકારની મદદ કરી તે અંગે તપાસ શરૂ કરાઇ છે. નિખિલ દોંગા સાથે સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાનો હાથ હોવાનું અનેકવાર ચર્ચાયુ છે. જોકે, હવે ભાજપના મહામંત્રીની મદદગારીમાં સંડોવણી ખુલતા નજીકના સમયમાં અન્ય મોટામાથાના નામ ખુલે તેવી પુરી શક્યતા છે.
આ પણ વાંચોઃ ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો
પુરાવાનો કર્યો હતો નાશ
આ સમગ્ર કેસ અંગે મીડિયા સાથે વાત કરતા DySp જે એન પંચાલે જણાવ્યું હતું કે, વિપુલ સંચાણીયા દ્વારા મધ્યસ્થી બનીને આરોપીના સાગરીતોને જેલમાં મળવા માટે મદદ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વાતચીત કોલ પર કરવામાં આવી હતી અને તમામ ડેટા પણ ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો તેમજ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે વિપુલ વિરૂદ્ધ તમામ પુરાવા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.